રાજકોટમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં થયેલા છેતરપિંડીના મામલો સામે આવ્યો છે. જે મામલે છેલ્લા 2 મહિનાથી પોલીસને હાથતાળી આપતો આરોપી ચંદ્રેશ છત્રોલને પોલીસે ઝડપી લીધો છે.મળતી માહિતી મુજબ, રેલનગર ખાતે યોજાનાર સમૂહ લગ્ન કાર્યક્રમનું ચંદ્રેશ છત્રોલાએ આયોજન હોઠવ્યું હતું. જેમાં સમૂહલગ્નને લઈને સમાજના લોકોએ તેને આયોજનની જવાબદારી સોંપી હતી. આરોપીએ સમગ્ર આયોજન માટે પૈસા લઈ લીધા હતા.


આરોપી પૈસા લઈને ફરાર

આરોપી ચંદ્રેશ છત્રોલાએ સમગ્ર સમૂહ લગ્નના આયોજનની જવાબદારી લીધી હતી. પરંતુ તેણે લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો.ઋષિવંશી સમાજના લગ્ન સમૂહમાં 28 યુગલોના લગ્ન યોજાવવાના હતા. જોકે, તે આરોપીએ કાર્યક્રમના દિવસો નજીક આવતા પૈસા લઈને ફરાર થઇ ગયો હતો. જેના કારણે સમગ્ર આયોજન રદ કરવું પડ્યું હતું. આરોપી આયોજકે આવુ કૃત્ય કરતા અનેક યુગલોના સપનાને ઝટકો લાગ્યો હતો.

પોલીસે આરોપીને ઝડપ્યો

સમગ્ર મામલે પોલીસમાં લોકોએ આરોપી ચંદ્રેશ છત્રોલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યુ હતું. તે આધારે પોલીસે આરોપી ચંદ્રેશ છત્રોલાને ઝડપી લીધો હતો. હવે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે વધુ લોકો છેતરાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાને લીધે લોકોએ આવા વિશ્વાસઘાતી લોકો સામે કડક પગલાં લેવા માંગ કરી છે.


  • Follow us on: