સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં જોવા મળી. રાજ્યની હાઈટેક ટેકનોલોજી ધરાવતી લાજપોર જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ અને ચાર્જર મળી આવ્યા. જેલના કેદીઓની શંકાશીલ પ્રવૃત્તિના કારણે જેલ સ્ક્વોર્ડ દ્વારા બેરેકમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી જેલની સિક્યુરિટી પર સવાલ ઉભા થાય છે.
કેદીઓ પાસેથી મળ્યા મોબાઈલ
લાજપોર જેલના સ્ટાફે બેરેકમાં શંકાશલી તમામ ગુનેગારોની ઝડતી લીધી. જેલ સ્ક્વોર્ડના દરોડામાં બે કેદીઓ પાસેથી ફોન મળી આવ્યા. યાર્ડ નં.૨ના બેરેક અને નંબર ૬માં સજા ભોગવી રહેલા કેદી આરશી વલ્લભ ગોહિલ પાસેથી મોબાઈલ અને કેદી યાસીન ઉર્ફે દુધી હુશેન તળપદા પાસેથી એક ફોન મળી આવ્યો.દરોડામાં કેદીઓ પાસેથી ફોન ઉપરાંત ઇયર ફોન અને ચાર્જર પણ મળી આવ્યું હતું. જેલ સ્કવોર્ડ દ્વારા હાથ ધરાયેલ દરોડામાં પાકા કામના કેદી પાસે પ્રતિબંધિત વસ્તુ મળતાં સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
લાજપોર જેલમાં હાઈટેકનિક ટેકનોલોજી
લાજપોર જેલમાં 3 હજારથી વધુ કેદીઓ રહે તેવી ક્ષમતા છે. જેલમાં મહિલા કેદીઓ માટે અલગ બેરેક બનાવવામાં આવ્યા છે.લાજપોર જેલ રાજ્યની હાઈટેક જેલ માનવામાં આવે છે. 13 વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ જેલનું ઉદ્ઘાટન થયું હતું. આ જેલમાં 807 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી અંદાજે 65 જટેલા ટિલ્ટ ઝૂમ કેમેરા છે.એટલે કે આ જેલમાં એવા કેમેરા છે જે 360 ડિગ્રીએ ફરી શકે છે. આવી હાઈટેક ટેકનોલોજી ધરાવતી લાજપોર જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ અને ચાર્જર મળી આવવા એ બહુ મોટી ઘટના કહેવાય.
પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ
જેલમાં આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાં પાકા કામના બે કેદીઓ પાસેથી કેવી રીતે મોબાઈલ જેલમાં પંહોચ્યા તે વિચારવાલાયક અને ચિંતિત કરનારી બાબત છે. કારણ કે જો જેલમાં મોબાઈલ પંહોચી શકે છે તો પછી કોઈપણ અન્ય વસ્તુ પણ સરળતાથી પંહોચી શકે છે. બે કેદીઓ પાસેથી મોબાઈલ મળવાના લઈને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે કે આખરે આ કેદીઓને મોબાઈલ કોણે આપ્યા તેમજ આ કેદીઓ મોબાઈલનો શું ઉપયોગ કરતા હતા અને ભવિષ્યમાં તેમના એવા કયા ઇરાદા પાર પાડવાના હતા જેને લઈને તેમને મોબાઈલની જરૂરત પડી.