જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે. મંગળવારે મોડી રાત્રે એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાંખ્યા હતાં. આ ઘટનામાં 100 કરતાં વધુ આતંકીઓના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ સમગ્ર દેશમાં આજે મોકડ્રીલ યોજાઈ રહી છે. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 7.30 થી 9 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાશે અને ત્યારબાદ બ્લેક આઉટ થશે. મોકડ્રીલ અને બ્લેક આઉટને કારણે આજે સુરતમા તમામ ટેક્સટાઈલ માર્કેટ વહેલી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ટેક્સટાઈલ માર્કેટ બંધ કરવાનો નિર્ણય
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સમગ્ર રાજ્યમાં 18 જિલ્લામાં આજે મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં સ્થિત તમામ ટેક્સ્ટાઈલ માર્કેટ આજે વહેલી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 240 જેટલા નાના મોટા ટેક્સટાઈલ માર્કેટ છે. જેમા 70 હજાર જેટલી નાની મોટી કાપડની દુકાનો આવેલી છે. પાંચ લાખ લોકો કાપડ માર્કેટ સાથે જોડાયેલા છે. શહેરમાં આજે સાંજે પાંચ વાગ્યે ટેક્સટાઈલ માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે સાંજે 4 કલાકે મોકડ્રિલ યોજાશે
સુરતમાં મોકડ્રીલ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર, ધારાસભ્યો, સાંસદ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં યુદ્ધ જેવી સ્થિતિમાં સાવચેતી અંગે માહિતી અપાઈ હતી. શહેરમાં આજે સાંજે ચાર વાગ્યે મોકડ્રીલ યોજાશે. 51 સ્થળોએ એક સાથે સાયરન વાગશે. સાયરન બાદ 7.30થી 8 કલાકે બ્લેકઆઉટ થશે. શહેરના લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.