ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવ્યાં છે. ત્યારે સુરતમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીનો જીવતો દાખલો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે તપાસ કર્યા વિના જ આરટીઈ પ્રવેશ માટે શાળાની પસંદગી કરી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં દેલાડવા ગામમાં બંધ ખાનગી શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવી દેવાયો છે. આ શાળાને બેંક 1.66 કરોડની રિકવરી કાઢીને સીલ મારી દીધું છે. વાલીઓ જ્યારે શાળાએ ગયા ત્યારે સીલ વાગેલુ જોવા મળ્યું હતું.


તપાસ કર્યા વગર જ શાળાને RTE પ્રવેશ માટે પસંદ કરાઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની તપાસ કર્યા વગર જ RTE પ્રવેશ માટે પસંદ કરાઈ છે. શિક્ષણ વિભાગના વહીવટી ગોરખધંધાનો જીવતો દાખલો આ શાળામાં જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગે દેલાડવા ગામ ખાતે આવેલી બંધ પડેલી ખાનગી શાળામાં RTE અંતર્ગત પ્રવેશ ફાળવી દીધો છે. સ્કૂલ સામે બેંક દ્વારા 1.66 કરોડની રિકવરી કાઢી હોઈ શાળાને સીલ મારી દેવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગના વહીવટ પર અનેક સવાલો ઊભા કર્યા

એક તરફ સરકાર RTE હેઠળ શિક્ષણનો હક્ક આપવા ઢંઢેરા પીટે છે. બીજી બાજુ બેંકે સીલ મારી દીધેલી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયો છે. આ સમગ્ર ઘટનાએ શિક્ષણ વિભાગના વહીવટ પર અનેક સવાલો ઊભા કર્યા છે.સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક વાલીએ ફોર્મ ભરતી વખતે દેલાડવાની સાઉથ ઈન્ડિયન મોડર્ન સ્કૂલની પસંદગી કરી હતી. તેમજ પ્રથમ રાઉન્ડમાં વાલીને આ શાળામાં પ્રવેશ ફાળવી પણ દેવામાં આવ્યો હતો. જોકે પ્રવેશ કન્ફર્મ કરાવવા ગયેલા વાલીને સ્થળ પર બેંકના સીલ અને નોટિસ જ મળી આવી હતી.


  • Follow us on: