જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા મૃતકોના નશ્વર દેહ વતન પરત ફરશે. રાજ્ય સરકારે આ માટે મંત્રીઓને જવાબદારી સોંપી છે. તે ઉપરાંત ત્યાં ફસાયેલા મુસાફરો માટે હવાઈ સેવાની પણ સુવિધા કરવામાં આવી છે. શ્રીનગરથી મુંબઈ ઈન્ડિગોની ફ્લાઇટ 3105માં મૃતકોના નશ્વર દેહ વતન પરત લાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ફસાયેલા પ્રવાસીઓને પણ પરત લવાઈ રહ્યાં છે. ત્યાર બાદ મુંબઈથી લકઝરી મારફતે તેમને ભાવનગર લાવવામાં આવશે. મૃતકોના નશ્વર દેહ મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ભાવનગર ખાતે લવાશે.


મંત્રીઓને પણ જવાબદારી સોંપવામાં આવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં મૃતક પિતા અને પુત્રની અંતિમ ક્રિયામાં હાજર રહેશે. તેમની સાથે સરકારના મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજરી આપશે. આ ઉપરાંત કેટલાક મંત્રીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ હૂમલામાં સુરતના એક મૃતકનો નશ્વર દેહ પણ રાત્રે સુરત ખાતે પહોંચશે. જ્યાં મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયા તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ પણ સુરત જવા રવાના થયાં છે.

ભાવનગરના કલેક્ટરે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી

ભાવનગરના કલેક્ટર અને એસપીએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમના નિવાસ્થાને જઈને સાંત્વના પાઠવી હતી અને આશ્વાસન આપ્યું હતું. આ આતંકી હૂમલાના પગલે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે, પહેલા એવું કહેવામાં આવતું હતું કે આતંકવાદી નો કોઈ ધર્મ અને જ્ઞાતિ હોતી નથી.પરંતુ આ ઘટના બાદ એક વાત સ્પષ્ટ છે કે આતંકવાદીને પણ ધર્મ હોય છે.આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

  • Follow us on: