- જસદણમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત
- પુત્રીની બીમારીની સારવાર માટે યુવકે લીધા હતા પૈસા
- યુવક પર દબાણ કરતા પરિવારજનોએ નોંધાવી ફરિયાદ
વ્યાજના ધંધાર્થીઓને નાથવા માટે સરકાર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરુ કરવા છતા પણ વ્યાજખોરો બેફામ બન્યા છે. તેવામાં રાજકોટના જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવક ઘર છોડીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જસદણ પોલીસે 21 વ્યાજખોરો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોએ માજા મૂકી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે વ્યાજખોરો સામે મનીલેન્ડ એક્ટ હેઠળનો કાયદો બનાવી લોક દરબાર યોજ્યા છતાં પણ વ્યાજખોરોને પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ વ્યાજે રૂપિયા આપી લોકોનું જીવવું હેરાન કરી દેતા હોય છે. ત્યારે જસદણમાં રત્નકલાકાર યુવકે તેના પુત્રની બીમારીની સારવાર માટે એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યાર બાદ વ્યાજ ચક્રમાં ફસાતા જસદણ પંથકના 21 વ્યાજખોરોએ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતાં યુવક છેલ્લા અઠવાડિયાથી ઘર છોડીને ચાલ્યા જતા પરિવારમાં ભયનો માહોલ ઉભો થયો છે. બનાવ અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.













