વિસનગર તાલુકાના થલોટા ગામમાં ગામદેવી શ્રી મહાકાળી માતાજી મંદિરના પુનઃનિર્માણ માટે શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો છે. પાવન શ્રદ્ધા અને ભક્તિ ભાવના સાથે શ્રી મહાકાળી મિત્ર મંડળના સભ્યો-યજમાનોના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. શિલાન્યાસ કાર્યક્રમ બાદ આજના શુભ દિવસે સૌ ગ્રામજનોએ સામુહિક ભોજન કર્યું હતું.
મહાકાળી માતાજીના વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવશે
આ શિલાન્યાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શ્રી મહાકાળી માતાજીનું એક વિશાળ મંદિરનું નિર્માણ કરવાનો છે, જેમાં ગ્રામજનો ભક્તિ ભાવથી પૂજા અને આરાધના કરી શકશે. આગામી સમયમાં મંદિર ધાર્મિક-આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર બનશે. મહાકાળી માતાજીમાં ગ્રામજનો અપાર શ્રદ્ધા ધરાવે છે. તમામ શુભ પ્રસંગો માતાજીને યાદ કરીને જ કરે છે. મહાકાળી માતાજીના મંદિરને અતિ ભવ્ય અને વધુ વિશાળ બનાવવા માટે દાતાઓએ દાનની સરવાણી વરસાવી હતી.
અનેક શહેરમાં વસતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
શિલાન્યાસના પ્રસંગમાં અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, અંકલેશ્વર, ભરૂચ, વાપી, વિસનગર સહિત અન્ય શહેરોમાં વસતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મહાકાળી માતાજી મંદિરના નવીન મંદિર માટે બનાવવામાં આવેલી કમિટીએ આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.