મોરબી મહાનગરપાલિકા બન્યાં બાદ પણ પાણીની સમસ્યા દૂર થઈ નથી. ત્યારે પરિશ્રમ કરતા લોકો પોતાનું 2 ટંકનું ભોજન પુરુ પાડે છે. તેવામાં પીવાના પાણી માટે મિનરલ વોટરની ખરીદી કરવી પડે છે. પાણીની સમસ્યાથી પીડાતા લોકોએ હવે આંદોલનની રણનીતિ ઘડી છે.
લોકોને પીવાના પાણીની સમસ્યા
મોરબીમાં અગાઉ નગરપાલિકાના વોર્ડ 2 માં સમાવિષ્ટ વિસ્તાર એવા ભીમરાવ નગરમાં અનુસુચિત જાતિના પરિવારોનો વસવાટ છે. ભીમરાવનગરમાં શ્રમિક લોકોનો વસવાટ છે. જે દિવસભર અલગ અલગ સ્થળે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યાં ઘણા પરિવારોમાં મહિલાઓ પણ મજૂરીએ જતી હોય છે.આવી સ્થિતિમાં જો ઘરમાં સમયસર પાણી ન મળે તો હાલત કેવી થાય. લોકોની દયનીય પરિસ્થિતિને જોતા તંત્રના પેટનું પાણી હલતું નથી.
મજૂરી કામ કરતા લોકોને મુશ્કેલી
સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરબી મનપા તંત્ર શહેરમાં ક્યાંય પાણીની હાલાકી ન હોવાના દાવા કરે છે. પરંતુ ભીમરાવનગર, વિજયનગર જેવા દલિત વિસ્તારમાં જાય તો પરિસ્થિતિનો ખ્યાલ આવે. વોર્ડ 2માં આવતા વિસ્તારમાં 300 જેટલા પરિવારો રહે છે. આ લોકો મજૂર વર્ગ હોવાથી તેમની આવક ખુબ ઓછી હોય છે. પરિણામે પરિવારને મદદ કરવા મહિલા પણ મજુરી એ જતી હોય છે. પરંતુ આ વિસ્તારમાં પાણી ન મળતું હોવાથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.તેમજ મહિલાઓને બીજા લોકોના ઘરે બોર છે ત્યાં નહી તો બીજા વિસ્તારમાં ઘડા લઈને પાણી લેવા જઉ પડે છે. તેમ સ્થાનિકોએ પોતાની સમસ્યા જણાવી હતી.
મનપામાં કરી હતી રજૂઆત
સ્થાનિક રહીશોએ જણાવ્યું તે મુજબ મોરબી શહેરના આ વિસ્તારમાં મહિલાઓ મજૂરીએ જાય છે. તેમાં પણ પૂરતું પાણી ન મળતું હોવાથી પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ત્યારે આ મુદ્દે અગાઉ સ્થાનિકોએ મનપા કચેરીમાં રજૂઆત કરી હતી. તો મનપાએ મચ્છુ 2 ડેમમાં પાણી ન હોવાથી વિસ્તારમાં પાણી ન પહોંચતા હોવાનો બચાવ કર્યો હતો.હવે નર્મદાનું પાણી ડેમમાં ઠલવાશે. એટલે લોકોને પૂરતું પાણી આપશે, તેવી મનપાએ ખાતરી આપી હતી. અગાઉ તંત્ર દ્વારા 20 મે સુધીમાં પાણી પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે તે આશ્વાસન પૂર્ણ થયું નથી. હવે સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ 10 દિવસ સુધી તેઓ તંત્ર પર ભરોસો રાખીને બેઠા છે. આ કાળઝાળ ગરમીમાં જ્યાંરે પાણી લોકોની મુખ્ય જરૂરિયાત હોય અને તે જરૂરિયાત પણ જો તંત્ર પૂરી ન કરી શકતું હોય. તો બીજી સુવિધા પૂરી પાડવામાં કેટલી સફળ થશે તે પણ એક સવાલ છે.













