- એર ઇન્ડિયા એક્સપ્રેસ એક્શનમાં
- સિક લીવ પર ઉતરેલા લોકો સામે કાર્યવાહી
- બે દિવસમાં 90 ફ્લાઇટ રદ થતા યાત્રીઓને હાલાકી
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ એક સાથે સીકલિવ પર ઉતરતા હવે કંપની એક્શનમાં આવી છે. ક્રૂ મેમ્બર્સ ન હોવાને કારણે છેલ્લા બે દિવસમાં અનેક ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. યાત્રીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે હવે એરલાઇન્સ દ્વારા સિક લિવ પર ઉતરનારા ક્રૂ મેમ્બર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અપાયો ટર્મિનેશન લેટર
એર ઈન્ડિયા એક્સપ્રેસે 'સિક લીવ' પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને ટર્મિનેશન લેટર આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે 100થી વધુ ક્રૂ મેમ્બર્સ અચાનક માંદગીની રજા પર જવાને કારણે એરલાઇનને છેલ્લા બે દિવસમાં તેની 90 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગણીઓને લઈને એક પ્રકારની હડતાળ પર ઉતરી ગયા છે.
છેલ્લી ઘડીએ બીમાર હોવાની કરી જાણ
જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી ત્યારે છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. બુધવારે એરલાઇનના સીઇઓએ જણાવ્યું હતું કે ગત સાંજથી, અમારા 100થી વધુ કેબિન ક્રૂ સહકર્મીઓ છેલ્લી ઘડીએ, તેમની નિર્ધારિત ફ્લાઇટ ડ્યુટી પહેલાં બીમાર પડ્યાની જાણ કરી છે, જેના કારણે અમારી કામગીરીમાં ગંભીર વિક્ષેપ ઊભો થયો છે.
13મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ
એર ઈન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. જેના કારણે મંગળવાર રાતથી 100 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરોને અસર થઈ છે. એરલાઇનના સીઇઓ આલોક સિંઘે જણાવ્યું હતું કે આખું નેટવર્ક પ્રભાવિત થયું છે, જેના કારણે અમને આગામી થોડા દિવસોમાં શેડ્યૂલ ઘટાડવાની ફરજ પડી છે