• અરવિંદ કેજરીવાલના 3 દિવસના રિમાન્ડ આજે પુરા થયા બાદ સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા

  • દિલ્હી લીકર પોલીસી સ્કેમ મામલે સીબીઆઇએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી
  • કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના 3 દિવસના રિમાન્ડ આજે પુરા થયા બાદ સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. કોર્ટે CBIની અરજી મંજૂર કરી લીધી છે અને હવે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈએ બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાશે.

3 દિવસ CBIના રિમાન્ડ પર હતા કેજરીવાલ

દિલ્હી લીકર પોલીસી સ્કેમ મામલે સીબીઆઇએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેજરીવાલે કહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યુ છે તે સાચુ નથી. મે એવુ કોઇ નિવેદન આપ્યુ નથી કે મનીષ સિસોદિયા દોષી છે. મે કહ્યું હતું કે તે નિર્દોષ છે અને હું પણ નિર્દોષ છું. મહત્વનું છે કે સીબીઆઇએ કેજરીવાલની પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ 3 દિવસના જ રિમાન્ડ મંજૂર થયા હતા.

કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી

સીબીઆઈની ધરપકડ બાદ સીએમ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પાછી ખેંચી લીધી હતી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કેજરીવાલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેન્ચને જણાવ્યું કે હાઈકોર્ટે 25 જૂને વિગતવાર આદેશ આપ્યો હોવાથી તેઓ નક્કર અપીલ દાખલ કરવા ઈચ્છે છે. સિંઘવીએ બેન્ચને કહ્યું કે ઘટનાક્રમ દરરોજ નવા આકાર લઈ રહ્યો છે અને હવે કેજરીવાલની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી

આમ આદમી પાર્ટી (AAP) નેતા કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને 20 જૂને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને નિયમિત જામીન આપ્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારની તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ તેને 2022માં રદ કરવામાં આવી હતી.


  • Follow us on: