શિવસેના (UBT)માં છેલ્લા ચાર વર્ષમાં બીજી વખત થયેલા વિભાજન વચ્ચે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈના ઉત્તર-પૂર્વ લોકસભા ક્ષેત્રમાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું. સાંજે ભાંડુપ વિસ્તારમાં તેઓએ જૂના શિવસૈનિકો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.


ઉમેદવારોની પસંદગીમાં ભૂલ થઈ 

આ મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધતા ભાવુક રીતે માફી માગી. તેમણે કહ્યું કે જ્યાં પણ વિશ્વાસઘાત થયો છે, તેના માટે તેઓ જવાબદારી સ્વીકારી માફી માગે છે. તેમણે સ્વીકાર્યું કે ઉમેદવારોની પસંદગીમાં ભૂલ થઈ હતી અને તેની જવાબદારી પોતે લે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ કાર્યકર્તાઓને માત્ર શિવસૈનિક નહીં પરંતુ 'પ્રજ્વલિત મશાલ' તરીકે જોવે છે. 

પક્ષને તોડવાની પ્રક્રિયા પાછળ ભાજપનો હાથ

તેમણે આરોપ લગાવ્યો કે પક્ષને તોડવાની અને કમજોર કરવાની લાંબા સમયથી કોશિશ થઈ રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે શિવસેના (UBT) એ બાલાસાહેબ ઠાકરેની વિચારધારા પર આધારિત એક જ અસલી શિવસેના છે. તેમણે ભાજપ પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે પક્ષને તોડવાની પ્રક્રિયા પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો “બહારના” છે અને તેઓ શિવસેનાની ઓળખ નક્કી કરી શકતા નથી. શિવસેના માત્ર મહારાષ્ટ્રના લોકોના હક માટે રચાયેલી પાર્ટી છે અને તેનું નેતૃત્વ માત્ર એક જ હોઈ શકે છે.

જનતા વચ્ચે જઈને પોતાની વાત સ્પષ્ટ કરીશ: ઉદ્ધવ ઠાકરે 

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું કે તેઓ આગામી દિવસોમાં તે વિસ્તારોમાં જશે જ્યાં “વિશ્વાસઘાત” થયો હતો અને મતદાતાઓ પાસેથી માફી માગશે. તેમણે કહ્યું કે તેઓ જનતા વચ્ચે જઈને પોતાની વાત સ્પષ્ટ કરશે અને પક્ષને ફરી મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. આ નિવેદનો સાથે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે અને શિવસેના (UBT) તથા શિંદે જૂથ વચ્ચેનો વિવાદ વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Nitish Kumarની લીડરશિપ પર ફરી લાગી મહોર, ચોથી વખત બન્યા JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ



  • Follow us on: