મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના રત્નાગિરી જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગણપતિપુલેમાં શનિવારે મોટો અકસ્માત સર્જાયો છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના 5 પર્યટકો દરિયામાં ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે.


11 વાગ્યે દરિયામાં ઉતર્યા હતા

પ્રાથમિક માહિતી મુજબ, છત્રપતિ સંભાજીનગરથી કુલ 21 લોકોનું એક ગ્રુપ ગણપતિપુલે ફરવા આવ્યું હતું. સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ કેટલાક યુવાનો દરિયામાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંચી લહેરો અને તેજ પ્રવાહને કારણે 5 પ્રવાસી પાણીમાં ખેંચાઈ ગયા હતા. દરિયાની પરિસ્થિતિનો યોગ્ય અંદાજ ન લગાવી શકવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે.

તમામ પર્યટકો છત્રપતિ સંભાજીનગર જિલ્લાના રહેવાસી

ઘટનાની માહિતી મળતાં જ લાઈફગાર્ડ, પોલીસ, પ્રશાસન અને સ્થાનિક માછીમારોની મદદથી તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ પાંચેય પર્યટકોની શોધખોળ યુદ્ધસ્તરે ચાલી રહી છે, પરંતુ ખરાબ દરિયાઈ પરિસ્થિતિ બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, લાપતા થયેલા પર્યટકોની ઓળખ આદિત્ય રાઉત, યશ કાંબલે, અનિકેત હિવરાલે, પ્રેમ આદમે અને આનંદ નવરાડે તરીકે થઈ છે. તમામ પર્યટકો છત્રપતિ સંભાજીનગર જિલ્લાના રહેવાસી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા પર્યટકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે.

આ પણ વાંચો : Delhi : જંતર-મંતર પર દિલ્હી પોલીસ એક્શન મોડ પર, વિદ્યાર્થીઓને પ્રદર્શન સ્થળેથી હટાવવાનું કર્યું શરૂ



  • Follow us on: