ઉર્દૂ શાયરીને પોતાની આગવી અને સરળ શૈલીથી સામાન્ય માણસ સુધી પહોંચાડનારા મશહૂર શાયર બશીર બદ્રનું ગુરુવારે બપોરે ભોપાલમાં નિધન થયું છે. 91 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી ડિમેન્શિયાથી પીડાતા હતા. બીમારીના કારણે તેમની યાદશક્તિ એટલી નબળી પડી ગઈ હતી કે તેઓ પોતાના નજીકના લોકોને પણ ઓળખી શકતા નહોતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સતત લથડી રહી હતી.


સાહિત્ય અને શાયરીની દુનિયામાં શોકનું મોજું

તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ સાહિત્ય અને શાયરીની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉર્દૂ સાહિત્યને સરળ ભાષા અને નવી વિચારસરણી આપનારા બશીર બદ્રએ પોતાની ગઝલોથી કરોડો લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમની શાયરીમાં પ્રેમ, દર્દ, જિંદગી અને માનવીય સંબંધોની ઊંડાણ સ્પષ્ટપણે જોવા મળતી હતી.

ઉર્દૂ શાયરીને આપ્યો નવો અંદાજ

બશીર બદ્રએ પરંપરાગત ઉર્દૂ શાયરીથી હટીને એક નવો જ માર્ગ કંડાર્યો હતો. તેમણે અઘરા ઉર્દૂ શબ્દોને બદલે રોજબરોજની બોલચાલની સરળ ભાષાનો ઉપયોગ કર્યો, જેના કારણે તેમની ગઝલો દરેક વર્ગના લોકો સુધી પહોંચી. તેમની શાયરીમાં જીવનના નાના-નાના અનુભવો, સંબંધોની નાજુકતા અને સમાજની સચ્ચાઈ અત્યંત સાદગી સાથે રજૂ થતી હતી.

AMU માંથી અભ્યાસ અને મેરઠ કોલેજમાં લેક્ચરર રહ્યા

બશીર બદ્રએ વર્ષ 1969માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ 12 ઓગસ્ટ 1974ના રોજ તેઓ મેરઠ કોલેજના ઉર્દૂ વિભાગમાં લેક્ચરર તરીકે જોડાયા અને વર્ષ 1990 સુધી ત્યાં સેવાઓ આપી. વર્ષ 1974થી 1990 વચ્ચેનો ગાળો તેમના સાહિત્યિક જીવનનો સૌથી સુવર્ણ અને મહત્વનો સમય માનવામાં આવે છે. આ ગાળા દરમિયાન જ તેમની ગઝલોએ દેશભરમાં લોકપ્રિયતા મેળવી અને તેઓ મુશાયરાઓના સૌથી લોકપ્રિય શાયર બની ગયા.

બશીર બદ્રના અમર શેર


લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં,

તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં.


ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો,

ન જાને કિસ ગલી મેં ઝિંદગી કી શામ હો જાએ.


કુછ તો મજબૂરિયાં રહી હોંગી,

યૂં કોઈ બેવફા નહીં હોતા.


કોઈ હાથ ભી ન મિલાએગા જો ગલે મિલોગે તપાક સે,

યે નએ મિઝાજ કા શહર હૈ ઝરા ફાસલે સે મિલા કરો.


હર ધડકતે પત્થર કો લોગ દિલ સમજતે હૈં,

ઉમ્રં બીત જાતી હૈં દિલ કો દિલ બનાને મેં.


યહાં લિબાસ કી કીમત હૈ, આદમી કી નહીં,

મુઝે ગિલાસ બડે દે , શરાબ કમ કર દે.


તુમ્હેં ઝરૂર કોઈ ચાહતોં સે દેખેગા,

મગર વો આંખેં હમારી કહાં સે લાએગા.


મોહબ્બતોં મેં દિખાવે કી દોસ્તી ન મિલા,

અગર ગલે નહીં મિલતા તો હાથ ભી ન મિલા.


યે ફૂલ મુઝે કોઈ વિરાસત મેં મિલે હૈં,

તુમ ને મેરા કાંટો ભરા બિસ્તર નહીં દેખા.


શોહરત કી બુલંદી ભી પલ ભર કા તમાશા હૈ,

જિસ ડાલ પે બૈઠે હો વો ટૂટ ભી સકતી હૈ.


ઘરોં પે નામ થે નામોં કે સાથ ઓહદે થે,

બહુત તલાશ કિયા કોઈ આદમી ન મિલા.


સાત સંદૂકોં મેં ભર કર દફ્ન કર દો નફરતેં,

આજ ઇંસાં કો મોહબ્બત કી ઝરૂરત હૈ બહુત


ચરાગોં કો આંખોં મેં મહફૂઝ રખના,

બડી દૂર તક રાત હી રાત હોગી.


આંખોં મેં રહા દિલ મેં ઉતર કર નહીં દેખા,

કશ્તી કે મુસાફિર ને સમુંદર નહીં દેખા.


ખુદા હમ કો ઐસી ખુદાઈ ન દે,

કિ અપને સિવા કુછ દિખાઈ ન દે.


શાયરીની દુનિયામાં હંમેશા જીવંત રહેશે બશીર બદ્ર

બશીર બદ્ર માત્ર એક શાયર નહોતા, પરંતુ ઉર્દૂ સાહિત્યનું એક એવું સરનામું હતા જેમણે ગઝલોને સામાન્ય માનવીના હૃદય સુધી પહોંચાડી. તેમના દ્વારા લખાયેલી પંક્તિઓ આજે પણ પ્રેમ, દર્દ અને જિંદગીને અનુભવવાનું સૌથી મોટું માધ્યમ છે. તેમના વિદાયથી સાહિત્ય જગતે એક એવો સિતારો ગુમાવ્યો છે, જેની ચમક સદાય માટે કાયમ રહેશે. ભાવભીની શ્રદ્ધાંજલિ


આ પણ વાંચો----     Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ

  • Follow us on: