27 જૂનનો દિવસ વૈશ્વિક અને રાજકીય ગતિવિધિઓથી ભરચક રહેશે; જેમાં પીએમ નરેન્દ્ર મોદી સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જુબલીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા 3 દિવસના પ્રવાસે જશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 'ભારત ટેક્સી'નું લોન્ચિંગ, વૃક્ષારોપણ સમીક્ષા અને જનતા દરબાર જેવા મહત્વના કાર્યક્રમો ગજવશે. 27 જૂનના રોજ ઘણી ઘટનાઓ મહત્વની રહેશે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 અને 28 જૂન દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ 27 જૂનના રોજ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 'ભારત ટેક્સી' (ગુજરાત) પહેલનું ભવ્ય લોન્ચિંગ કરશે. ત્યારબાદ બપોરે 12:45 વાગ્યે સેક્ટર-20 સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠકમાં હાજરી આપશે.

સાંજના સમયે તેઓ અમદાવાદમાં વ્યસ્ત રહેશે, જ્યાં સાંજે 5:15 વાગ્યે સરકારી અધિકારીઓ સાથે અને સાંજે 6:00 વાગ્યે સંસ્થાઓ સાથે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે "હરિયાળી લોકસભા" અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠકો કરશે. રાત્રે 7:00 વાગ્યે રાણીપની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાબરમતી વિધાનસભા મતવિસ્તાર (રાણીપ અને સાબરમતી વોર્ડ) ના જનતા દરબારમાં હાજરી આપી લોકપ્રશ્નો સાંભળશે. આગામી દિવસે તેઓ 'પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટ'નું ઉદ્ઘાટન પણ કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સેશેલ્સનો ઐતિહાસિક પ્રવાસ: ગોલ્ડન જુબલીમાં મુખ્ય અતિથિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન સુધી સેશેલ્સના સત્તાવાર રાજદ્વારી પ્રવાસે જઈ રહ્યા છે. સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હરમિનીના ખાસ આમંત્રણ પર વડાપ્રધાન મોદી ત્યાંના નેશનલ ડેના ગોલ્ડન જુબલી (50મા રાષ્ટ્રીય દિવસ) સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાયને પણ મળશે.

નર્મદામાં યુવા શક્તિ સંમેલન અને દારૂ પર અગાઉની ટિપ્પણીની ચર્ચા

નર્મદા આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં 27 જૂને 'યુવા શક્તિ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિની રચના દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપશે, અને સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચે તે માટે માર્ગદર્શન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવા જ એક કાર્યક્રમમાં મનસુખ વસાવાએ દારૂ વિશે ટિપ્પણી કરી હતી અને મહુડાના દારૂની વાત કરી હતી, જેને લઈને આ બેઠક પર સૌની નજર રહેશે.

ડુપ્લીકેટ પ્લાઝ્મા રેકેટ પર અમદાવાદ પોલીસનો મોટો ખુલાસો

મેડિકલ ક્ષેત્રને હચમચાવી મૂકનારા ડુપ્લીકેટ પ્લાઝ્મા રેકેટમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્રમાં સઘન તપાસ કરીને 27 જૂનના રોજ પરત ફરશે. આ તપાસ બાદ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધીમાં આરોપીઓએ કેટલા ડુપ્લીકેટ પ્લાઝ્મા પાઉચ માર્કેટમાં સપ્લાય કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, તેના પરથી પડદો ઊંચકાશે અને અનેક નવા ખુલાસા થશે.

ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્હીમાં વીવીઆઈપી ગતિવિધિઓ અને અબજોના વિકાસકાર્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નોઇડામાં ₹2,478 કરોડની ભારેખમ રકમ ધરાવતી 70 વિકાસ પરિયોજનાઓનું લોન્ચિંગ અને શિલાન્યાસ કરશે, જેમાં નોઇડા ઓથોરિટીની નવી ભવ્ય એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગનું ઓપનિંગ અને જાહેર સંબોધન સામેલ છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત 'એમએસએમઇ દિવસ 2026 - ઉદ્યમી ભારત' કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ તેઓ 27-28 જૂને કર્ણાટકના પ્રવાસે જશે, જ્યાં બેંગલુરુમાં નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડાની 517મી જયંતી સમારોહમાં ભાગ લેશે.

ગુજરાતના વેરાવળ અને ભાણવડમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ: ભારે વીજકાપની જાહેરાત

ચોમાસા પૂર્વેની જાળવણી કામગીરીના ભાગરૂપે 27 જૂને ગુજરાતના બે મોટા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:

વેરાવળ શનિવાર વીજકાપ: વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી જાલેશ્વર ફીડરના પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાટર્સમાં પાવર સપ્લાય બંધ રહેશે. કટોકટી માટે ગ્રાહકો 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકે છે.

ભાણવડ 13 કલાકનો વીજકાપ: ભાણવડ પેટા વિભાગ હેઠળ આવતા રણજીતપરા, ભાણવડ અને રેલ્વે જ્યોતિ ફિડરમાં અગત્યની કામગીરીને કારણે સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી (સળંગ 13 કલાક) વીજળી ગુલ રહેશે. આનાથી રામેશ્વર પ્લોટ, વિકાસ રોડ, ઓમકાર ગ્રીન, વસંતનગર, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. બંને સ્થળોએ કામ પૂર્ણ થતાં જ પૂર્વ સૂચના વિના પાવર સપ્લાય પુનઃ શરૂ કરાશે.

ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં આગામી કલાકોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, અસમ, કર્ણાટક, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત 16 રાજ્યોમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ઉત્તર ભારત અને ગુજરાતમાં ઝડપથી આગળ વધશે, જેનાથી લોકોને ગરમીથી મોટી રાહત મળશે.

ફિફા વર્લ્ડ કપ 2026: 27 જૂન મેચોનું શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર - IST)

ફિફા વર્લ્ડ કપ 2026 માં ગ્રૂપ સ્ટેજના રોમાંચક મુકાબલા ચાલી રહ્યા છે. 27 જૂનના રોજ રમાનારી મેચોનું લાઈવ પ્રસારણ ભારતીય સમય મુજબ નીચે મુજબ છે:

  • 00:30 AM: નોર્વે વિરુદ્ધ ફ્રાન્સ (ગ્રૂપ I) અને સેનેગલ વિરુદ્ધ ઇરાક (ગ્રૂપ I)
  • 05:30 AM: કેપ વર્ડે વિરુદ્ધ સાઉદી અરેબિયા (ગ્રૂપ H) અને ઉરુગ્વે વિરુદ્ધ સ્પેન (ગ્રૂપ H)
  • 08:30 AM: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બેલ્જિયમ (ગ્રૂપ G) અને ઇજિપ્ત વિરુદ્ધ ઇરાન (ગ્રૂપ G)

તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો: MDMK ગઠબંધન છોડશે?

DMK ની આગેવાની હેઠળના ગઠબંધનમાં યોગ્ય સન્માન ન મળવાના કારણે નારાજ વાઇકોની આગેવાનીવાળી MDMK પાર્ટી 27 જૂને યોજાનારી જનરલ કાઉન્સિલની બેઠકમાં ગઠબંધનમાંથી બહાર નીકળવાનો આખરી નિર્ણય જાહેર કરશે. અટકળો એવી પણ છે કે તેમના ધારાસભ્ય સેંથિલ સેલ્વન રાજીનામું આપીને સીએમ જોસેફ વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) માં જોડાઈ શકે છે. 

પીયૂષ ગોયલનો લંડન પ્રવાસ

ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ 15 જુલાઈથી લાગુ થનારા ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) ની સમીક્ષા કરવા અને સમકક્ષ પીટર કાઈલ સાથે મુલાકાત કરવા લંડનના પ્રવાસે છે. 27 જૂને તેમના લંડન પ્રવાસનો અંતિમ દિવસ છે.

અવકાશ વિજ્ઞાન: એફિલ ટાવર જેટલો મોટો એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, શનિવાર, 27 જૂન 2026 ના રોજ એફિલ ટાવર કરતાં પણ કેટલાય ગણો મોટો એક વિશાળ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. જોકે, સ્પેસ એજન્સીઓના મતે તે પૃથ્વીથી આશરે 16 લાખ માઈલ દૂર સુરક્ષિત અંતરેથી પસાર થશે, તેથી કોઈ જોખમ નથી. તે નરી આંખે જોઈ શકાશે નહીં, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ખગોળીય ઘટના છે.

નેશનલ એચઆઇવી ટેસ્ટિંગ ડે 

વર્ષ 1995 થી શરૂ થયેલા આ દિવસનો હેતુ લોકોને એચઆઈવી ટેસ્ટ કરાવી પોતાની સ્થિતિ જાણવા અને સારવાર મેળવવા જાગૃત કરવાનો છે, કારણ કે હજુ પણ આ જીવલેણ બીમારીની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી.

ઇન્ટરનેશનલ MSME ડે 

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) હાંસલ કરવામાં નાના અને મધ્યમ ઉદ્યોગોના યોગદાનને બિરદાવવા માટે આ દિવસ ઉજવાય છે. ભારત સરકારે વર્ષ 2006 ના MSMED એક્ટ સાથે આ સાહસોની સત્તાવાર શરૂઆત કરી હતી જે ઉત્પાદન અને પ્રક્રિયા ક્ષેત્રે મહત્વના છે.

27 જૂનની મહત્વની ઐતિહાસિક ઘટનાઓ

  • 1743: બ્રિટનના કિંગ જ્યોર્જ દ્વિતીય ડેટિંગન યુદ્ધના મેદાનમાં ફ્રેન્ચ સામે સૈન્યનું નેતૃત્વ કરનારા છેલ્લા શાસક બન્યા.
  • 1918 (ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિ): મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ખેડાના ખેડૂતોએ પ્લેગ અને પાક નિષ્ફળ જવા છતાં બ્રિટિશરોના અન્યાયી કર સામે લડત આપી હતી, જેનો જૂનના અંતમાં વિજય થયો અને બ્રિટિશ સરકારે કર વસૂલાત મુલતવી રાખી જપ્ત મિલકતો પરત કરી.
  • 1946: કેનેડિયન સંસદે કેનેડિયન નાગરિકતા કાયદામાં નાગરિકત્વને વ્યાખ્યાયિત કર્યું.
  • 1950: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ 83 અપનાવવામાં આવ્યો.
  • 1954: સોવિયેત યુનિયને ઓબ્નિન્સ્ક ખાતે વિશ્વનો પ્રથમ સિવિલિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂ કર્યો.
  • 1967: લંડનની બાર્કલેઝ બેંકમાં વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક એટીએમ (ATM) મશીન જોન શેફર્ડ-બેરોન દ્વારા ઇન્સ્ટોલ કરાયું.
  • 1972: પ્રખ્યાત વિડીયો ગેમ કંપની 'અટારી' (Atari, Inc.) ની સ્થાપના થઈ, જેણે પોંગ ગેમ બનાવી.
  • 1975 (ઇમરજન્સીનો કાળો દોર): ભારતમાં કટોકટીની જાહેરાત બાદ 27 જૂને સરકારે કલમ 358 અને 359 લાગુ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારો (વાણી સ્વાતંત્ર્ય, અદાલતમાં જવાનો અધિકાર) સ્થગિત કરી વિપક્ષી નેતાઓની ધરપકડ કરી હતી.
  • 1977: પૂર્વ આફ્રિકન દેશ જીબુતી ફ્રાન્સથી સંપૂર્ણ આઝાદ થયો.
  • 2002: G8 દેશો પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાની રશિયન યોજના પર સહમત થયા.
  • 2003: અમેરિકામાં સમલૈંગિકતા પરનો પ્રતિબંધ નાબૂદ કરવામાં આવ્યો.
  • 2004: યુએસ અને યુરોપિયન યુનિયને જીપીએસ ગેલિલિયોના વિકાસમાં સહકારના કરાર કર્યા.
  • 2005: બ્રિટને વીટો પાવર વિના ભારતના યુએન કાયમી સભ્યપદને સમર્થન આપ્યું.
  • 2006: ગુયેન મિન્હ ટ્રયેટ વિયેતનામના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 2007: જેમ્સ ગાર્ડન બ્રાઉને બ્રિટિશ વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો અને ટોની બ્લેરે રાજીનામું આપ્યું.
  • 2008: ભારત-પાકિસ્તાને ઈરાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની અડચણો દૂર કરી અને પાકિસ્તાનના આસિફ અલી ઝરદારી તુર્કી ગયા.
  • 2014: આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરીમાં ગેલ (GAIL) ગેસ પાઇપલાઇન બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા.
  • 2015: સંયુક્ત રાષ્ટ્રે તેના હેડક્વાર્ટરમાં ભારતના મહાન ફિલ્મ નિર્દેશક સત્યજીત રેની તસવીર પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો.
  • 2015 (ગ્રીન એનર્જી ક્રાંતિ): ગુજરાત સરકારે પાટણના ચારણકા ખાતે એશિયાના પ્રથમ સોલાર પ્રોજેક્ટના મલ્ટી-ફેઝ વિસ્તરણને મંજૂરી આપી, જે આજે ભારતના મેગા ક્લીન એનર્જી પાર્કનું મોડેલ બન્યું છે.

27 જૂનના રોજ જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ

  • પી.ટી. ઉષા (1964): ભારતીય ટ્રેક એન્ડ ફીલ્ડના લેજન્ડ, 'પાયોલી એક્સપ્રેસ' અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વર્તમાન પ્રમુખ.
  • આર. ડી. બર્મન 'પંચમ દા' (1939): ભારતીય સિનેમાના ક્રાંતિકારી સંગીતકાર, જેમણે બોલિવૂડ મ્યુઝિકને વેસ્ટર્ન ટચ આપ્યો.
  • બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (1838): મહાન રાષ્ટ્રવાદી કવિ જેમણે આપણું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' આપ્યું.
  • છગનલાલ કરમશી પારેખ 'છગન બાપા' (1894): રાજકોટમાં જન્મેલા મહાન પરોપકારી અને સામાજિક સુધારક, જેમણે સૌરાષ્ટ્રમાં સ્ત્રી કેળવણી અને ગરીબી નિર્મૂલન માટે જીવન સમર્પિત કર્યું.
  • ટીકુ તલસાણિયા (1954): ગુજરાતી મૂળના જાણીતા કોમેડી કલાકાર જેમણે 150 થી વધુ ફિલ્મો અને સીરીયલોમાં કામ કર્યું છે.
  • તનની છેડા (1996): ઓસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' માં કિશોર જમાલ મલિકની ભૂમિકા ભજવનાર ગુજરાતી મૂળનો બાળ કલાકાર.
  • હેલન કેલર (1880) - પ્રથમ પ્રજ્ઞાચક્ષુ અને બધિર ગ્રેજ્યુએટ લેખિકા
  • ટોબી મેગુઇરે (1975) - સ્પાઇડર મેન ફેમ હોલીવુડ એક્ટર
  • વેરા વાંગ (1949) - ફેશન ડિઝાઇનર
  • જે. જે. એબ્રામ્સ (1966) - સ્ટાર વોર્સ ડાયરેક્ટર
  • ક્લોય કાર્દાશિયન (1984) - અમેરિકન સેલિબ્રિટી 
  • નીતિન મુકેશ (1950) - પ્લેબેક સિંગર
  • પૂર્ણિમા વર્મન (1955) - પત્રકાર 
  • આર. ડી. પ્રધાન (1928) - પૂર્વ ગૃહ સચિવ 
  • અકિલન (1922) - તમિલ લેખક
  • અમલા શંકર (1919) - કોરિયોગ્રાફર

મહાન વિભૂતિઓની પુણ્યતિથિ

  • ફિલ્ડ માર્શલ સેમ માણેકશા (2008): 1971 ના ભારત-પાક યુદ્ધમાં ભારતને ઐતિહાસિક વિજય અપાવનાર વીર યોદ્ધાનું અવસાન આ જ દિવસે થયું હતું.
  • મહારાજા રણજીત સિંહ (1839): શિખ સામ્રાજ્યના સ્થાપક અને 'લાયન ઓફ પંજાબ' તરીકે જાણીતા મહારાજાનું લાહોરમાં 58 વર્ષની વયે અવસાન થયું હતું.
  • ધનાજી જાધવ (1708): મરાઠા સામ્રાજ્યના બહાદુર સરસેનાપતિ જેમણે ગેરીલા યુદ્ધ પદ્ધતિથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબના દખ્ખણ વિજયના સપનાને રોક્યું હતું, તેઓની પુણ્યતિથિ છે.


આ પણ વાંચો - 26 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર


  • Follow us on: