11 જૂનના રોજ દેશમાં મોટી હલચલ જોવા મળશે. જેમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક તેમજ કોંગ્રેસનું મંથનનું આયોજન થશે. આ સાથે દેશભરમાં હવામાનનો મિજાજ બદલાશે!


PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક

11 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે 'નીતિ આયોગ'ની ગવર્નિંગ કાઉન્સિલની એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. સવારે 9.30 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલનારી આ બેઠક વડાપ્રધાનના ‘ટીમ ઈન્ડિયા’ વિઝનને આધીન રહેશે. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય ‘વિકસિત ભારત@2047 માટે સમાવેશી માનવ વિકાસ’ રાખવામાં આવ્યો છે, જેમાં દેશના સર્વાંગી વિકાસ રોડમેપ પર ચર્ચા થશે.

કોંગ્રેસ હેડક્વાર્ટરમાં સંગઠનાત્મક ફેરબદલ અંગે મંથન

બીજી તરફ, રાજકીય મોરચે કોંગ્રેસ પક્ષ પણ એક્શન મોડમાં જોવા મળશે. 11 જૂને સવારે 11 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય 'ઈન્દિરા ભવન' ખાતે પક્ષના મહાસચિવો અને પ્રભારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સંગઠનમાં સૂચિત ફેરફારો અને વર્તમાન કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. આ મહત્વની બેઠકમાં વિવિધ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને પણ ખાસ હાજર રહેવા જણાવાયું છે.

ભારત-બાંગ્લાદેશ બોર્ડર સમિટનો અંતિમ દિવસ

ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર ફેન્સિંગ (તારની વાડ) લગાવવાની ચર્ચાઓ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) વચ્ચેની ડીજી (DG) કક્ષાની સરહદ સમન્વય પરિષદનો 11 જૂને છેલ્લો દિવસ છે. આ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપમાં બંને દેશોના ટોચના કમાન્ડરો સરહદ વ્યવસ્થાપન, ગેરકાયદેસર ઘૂસણખોરી અને 'પુશ-ઈન' જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર આખરી નિર્ણય લેશે.

દિલ્હીમાં 13મું બ્રિક્સ શહેરીકરણ ફોરમ

આ ઉપરાંત, રાજધાની દિલ્હીમાં 11 અને 12 જૂન દરમિયાન 13મા 'બ્રિક્સ શહેરીકરણ મંચ' (BRICS Urbanisation Forum) નું આયોજન કરવામાં આવશે. આ ફોરમમાં સભ્ય દેશો વચ્ચે સામાન્ય શહેરી પડકારોનો સામનો કરવા અને જન-કેન્દ્રિત, લવચીક તેમજ ટકાઉ (સસ્ટેનેબલ) શહેરોને પ્રોત્સાહન આપવા માટે પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાની આશા સેવાઈ રહી છે.

શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન

જ્યારે શૈક્ષણિક અને વહીવટી મુદ્દે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા 11 જૂનથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 11 જૂનના રોજ પુણેમાં સાંજે 4 વાગ્યે આ વિરોધ પ્રદર્શન યોજાશે. દેશભરમાં પરીક્ષાઓમાં ગેરરીતિ, પેપર લીક, ટેકનિકલ ખામીઓ અને વહીવટી નિષ્ફળતાઓને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરીને પાર્ટી દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

11 જૂને દેશભરમાં કેવું રહેશે હવામાન?

ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, 11 જૂને દેશના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ બદલાશે. દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વાવાઝોડા અને વરસાદના સંકેત છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ આશંકા છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળવાની આશા છે.


આ પણ વાંચો - 10 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર



  • Follow us on: