કાશ્મીરની એક એનજીઓ દ્વારા એક સ્ટડી કરાતા કબરોને લઇને એક મહત્વનો ખુલાસો થયો છે. આ સ્ટડી દરમિયાન તપાસવામાં આવેલી 4,056 નિશાન વગરની કબરોમાંથી 90 ટકાથી વધુ કબરો વિદેશી અને સ્થાનિક આતંકવાદીઓની છે. કાશ્મીર સ્થિત NGO સેવ યુથ સેવ ફ્યુચર ફાઉન્ડેશન (SYSFF) એ આ અભ્યાસ કર્યો છે. આ રિપોર્ટનું નામ છે સચ કા પરદાફાશ: કાશ્મીર ખીણમાં નિશાન વગરની અને અજાણી કબરોનો ગંભીર અભ્યાસ.
NGO દ્વારા 4056 કબરોનો કરાયો સરવે
ફારૂક ભટ, ઝાહિદ સુલતાન, ઇર્શાદ અહેમદ ભટ, અનિકા નઝીર, મુદાસિર અહેમદ ડાર અને શબીર અહેમદના નેતૃત્વ હેઠળ આ સંશોધન કરવામાં આવ્યું હતું. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરામાં અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં સ્થિત 373 કબ્રસ્તાનોનો સર્વે કરીને દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. વજાહત ફારૂક ભટે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેનું ફિલ્ડવર્ક 2024 માં પૂર્ણ થયું હતું. આ પછી અમે વિવિધ સરકારી કચેરીઓને રિપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
રિપોર્ટમાં શું ખુલાસો થયો ?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા આતંકવાદ વિરોધી અભિયાનોમાં માર્યા ગયેલા વિદેશી આતંકવાદીઓની કુલ 2,493 કબરો (લગભગ 61.5 ટકા) મળી આવી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ આતંકવાદીઓ પાસે ઓળખ કાર્ડ નહોતા જેથી તેઓ પોતાનું નેટવર્ક છુપાવી શકે અને પાકિસ્તાન તેની ભૂમિકાને નકારી શકે.
લગભગ 1,208 કબરો (લગભગ 29.8 ટકા) સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓની મળી આવી હતી જેઓ સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આમાંથી ઘણી કબરોની ઓળખ સમુદાયના પુરાવાઓ અને પરિવારો તરફથી પુષ્ટિ દ્વારા કરવામાં આવી હતી.
સંશોધકોને નાગરિકોની માત્ર 9 પુષ્ટિ થયેલ કબરો મળી આવી હતી જે કુલ કબરોના માત્ર 0.2 ટકા છે. NGO સેવ યુથ સેવ ફ્યુચર ફાઉન્ડેશન સંસ્થા અનુસાર આ સંશોધન એ દાવાઓનો સીધો વિરોધ કરે છે કે આ નાગરિકોની સામૂહિક કબરો છે. અભ્યાસમાં 1947ના કાશ્મીર યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા 70 આદિવાસી આક્રમણકારોની કબરોની પણ ઓળખ કરવામાં આવી હતી જે આ પ્રદેશમાં સંઘર્ષ સંબંધિત કબરોનો ઐતિહાસિક પુરાવો છે.
કેવી રીતે તૈયાર કરાયો અહેવાલ ?
આ અહેવાલ તૈયાર કરવા માટે સંશોધકોએ ઇન્ટરવ્યુ લીધા હતા, જેમાં વિવિધ પક્ષો, જેમ કે સ્થાનિક ધાર્મિક નેતાઓ અને ઓકાફ મસ્જિદ સમિતિઓના સભ્યો, દાયકાઓનો અનુભવ ધરાવતા કબર ખોદનારાઓ, સ્થાનિક આતંકવાદીઓ અને ગુમ થયેલા લોકોના પરિવારો, સ્થાનિક દફન પરંપરાઓનું જ્ઞાન ધરાવતા લાંબા સમયથી રહેવાસીઓ અને ભૂતપૂર્વ આતંકવાદીઓ જેમણે આત્મસમર્પણ કર્યું છે અથવા છોડી દેવામાં આવ્યા છે તેવા લોકોનો સમાવેશ થતો હતો.
અહેવાલમાં કેટલાક દાવાઓનું કરાયુ ખંડન
અહેવાલમાં કેટલાક હિમાયતી જૂથો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા કરવામાં આવેલા દાવાઓનું ખંડન કરવામાં આવ્યું હતું, જેમણે આ કબરોને રાજ્ય દ્વારા કરવામાં આવેલા અત્યાચારોના પુરાવા તરીકે વર્ણવ્યા હતા. અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે તેના તારણો દર્શાવે છે કે આવી વાર્તાઓ જમીન પર મળેલા પુરાવા દ્વારા સમર્થિત નથી. આ માટે ફારૂક ભટ્ટે આંતરરાષ્ટ્રીય સમુદાયને નીતિગત નિર્ણયો લેતા પહેલા આવા દાવાઓની વ્યવસ્થિત તપાસની માંગ કરવા અપીલ કરી હતી.
'પાકિસ્તાને વિદેશી આતંકીઓની ઓળખ કરવી જોઇએ'
તેણે કહ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરમાં દફનાવવામાં આવેલા તેના નાગરિકોને વિદેશી આતંકવાદીઓ તરીકે ઓળખવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી નિયમો હેઠળ પરિવારોને તેમના સુધી પહોંચાડવા જોઇએ. અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાની રાજ્ય દ્વારા આ વ્યક્તિઓનો ઇનકાર અને ત્યાગ એક મોટી માનવતાવાદી નિષ્ફળતા છે, જેણે માત્ર કાશ્મીરી સમુદાયોના દુઃખમાં વધારો કર્યો નથી પરંતુ પાકિસ્તાની પરિવારોના દુઃખને પણ લંબાવ્યું છે જેઓ ક્યારેય જાણશે નહીં કે તેમના પ્રિયજનોનું શું થયું છે, એમ અહેવાલમાં જણાવાયું છે.