NEET-UG 2026 રિ-ટેસ્ટ પહેલાં પરીક્ષા સંબંધિત ખોટી અફવાઓ, ફેક મેસેજ અને લીક થયેલી માહિતીના પ્રસારને રોકવા માટે ભારત સરકારે ટેલિગ્રામ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ 16 જૂનથી 22 જૂન સુધી લાગુ રહેશે. આ પગલું નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે લેવામાં આવ્યું છે.


ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી

સરકારના જણાવ્યા મુજબ 21 જૂને યોજાનારી રિ-ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભ્રમ અને ગેરસમજ ન ફેલાય તે માટે આ કાર્યવાહી જરૂરી બની હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર પરીક્ષા સંબંધિત ખોટા દાવાઓ ઝડપથી વાયરલ થતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિગ્રામના સંસ્થાપક અને CEO પાવેલ દુરોવે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રતિબંધથી ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી છે. તેમણે દાવો કર્યો કે કેટલીક લીક થયેલી માહિતી અન્ય એપ્સ પર પણ ફેલાઈ ગઈ છે, જેના કારણે માત્ર ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય ઉકેલ નથી.

આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી

પાવેલ દુરોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સરકારનો આ નિર્ણય લીક કરનાર લોકોને નહીં પરંતુ સામાન્ય યુઝર્સને અસર કરે છે. તેમના મુજબ આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી, કારણ કે માહિતી અન્ય પ્લેટફોર્મ પર પણ ઝડપથી ફેલાઈ જાય છે. બીજી તરફ NTAએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ નવા પેપર લીકના કારણે લેવામાં આવ્યો નથી. એજન્સી મુજબ પરીક્ષા અંગેની ખોટી અને ભ્રામક માહિતીના કારણે ઉમેદવારોમાં માનસિક દબાણ અને ગેરસમજ ઊભી થઈ રહી હતી, જેને અટકાવવા માટે આ પગલું જરૂરી હતું.

NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું કે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સહન કરવામાં આવશે નહીં. સરકારે પણ રિ-ટેસ્ટ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને મેલોની મળ્યા, કહ્યું 'અમે તો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ છીએ'


  • Follow us on: