રામ મંદિર દાન વિવાદ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરમાં આવતા દાનની ચોરીનો મુદ્દો ચર્ચામાં આવતા એક બાદ એક નવી બાબતો સામે આવી રહી છે. રામ મંદિરમાં દાનચોરીના આરોપો બાદ સીએમ યોગીને એસઆઇટીની રચના કરવાની અપીલ કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટની અપીલ પર એસઆઇટીની રચના કરવામાં આવી અને તેની તપાસનો પ્રાથમિક રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો.
ચંપત રાયે આપ્યું રાજીનામુ
જે બાદ કુલ 8 લોકો સામે એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં ચંપત રાયનો ઉલ્લેખ ન હતો. તેમ છતાં આજે તેઓએ ટ્રસ્ટના મહાસચિવ પદેથી રાજીનામુ આપી દેતા અનેક સવાલો ઉભા થયા છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટના બે સભ્યો, ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. SITના પ્રારંભિક અહેવાલમાં કરવામાં આવેલી મજબૂત ભલામણોને પગલે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. SITની ભલામણના આધારે આ કેસમાં પહેલી FIR નોંધાઈ ચૂકી છે. આ રાજીનામાઓને તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાંના સંદર્ભમાં જોવામાં આવી રહ્યા છે.
8 લોકોની આજે ધરપકડ
- એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા વ્યક્તિઓમાં રામશંકર યાદવ ઉર્ફે ટીનુ (ચંપત રાયના નજીકના સહયોગી), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, મનીષ યાદવ, લવકુશ મિશ્રા, રામ શંકર મિશ્રા અને સુભાષ શ્રીવાસ્તવ (કાઉન્ટિંગ ઇન્ચાર્જ અને નિવૃત્ત બેંક કર્મચારી)નો સમાવેશ થાય છે.
- પોલીસે આ કેસમાં કુલ આઠ વ્યક્તિઓના નામ આપ્યા છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) ની કલમ 306, 316, 317, 317(4), 317(5), 61 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
- રામ મંદિર ટ્રસ્ટે પ્રસાદની ચોરી અંગે એફઆઈઆર નોંધાવી છે. જોકે, રામ મંદિર ટ્રસ્ટની એફઆઈઆરમાં ચંપત રાયનું નામ દેખાતું નથી. અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામ પણ એફઆઈઆરમાં સામેલ નથી.
સીએમ યોગી આકરાપાણીએ
એસઆઇટી તપાસનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો તે બાદ 8 લોકો સામે એફઆઇઆર કરીને ધરપકડ કરવામાં આવી, આ મામલે સીએમ યોગીનુ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે એક પક્ષ કહેતો હતો કે ભગવાન રામનું અસ્તિત્વ જ નથી, એટલે કે આ લોકો અયોધ્યાને જ નકારી કાઢવા માંગતા હતા. તેઓ સતત કોર્ટમાં કેસ લડતા રહ્યા, રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સામે વકીલોની ફોજ ઉભી કરતા રહ્યા, અને બીજી બાજુ એવી પાર્ટી છે જે 'જય શ્રી રામ' ના નારા લગાવનારાઓ પર લાકડીઓ અને ગોળીઓ ચલાવતી હતી..
ભગવાન રામના નામના માત્ર ઉલ્લેખ પર ગોળીબાર કરનારા હવે કહી રહ્યા છે કે શ્રદ્ધા સાથે છેડછાડ થઈ છે... તેઓ રામ નવમી પર રમખાણો ભડકાવશે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પર પ્રતિબંધ મૂકશે, કાવડ યાત્રા થતી અટકાવશે, દુર્ગા પૂજા દરમિયાન રમખાણો કરાવશે.. યાદ રાખો, કોંગ્રેસે ફક્ત દેશને લૂંટ્યો જ નહીં, તેમણે તેને ફાડી નાખ્યો. તેમણે બેઈમાની અને ભ્રષ્ટાચારના રેકોર્ડ સ્થાપિત કર્યા, અને તે જ લોકો હવે અયોધ્યા પર આરોપ લગાવી રહ્યા છે?
દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે- સીએમ યોગી
આ અસ્વીકાર્ય છે. સરકારનો ઈરાદો સ્પષ્ટ છે..., બધું બધાની સામે આવશે. પરંતુ હું ફરી એકવાર અપીલ કરીશ: રામ ભક્તોની કસોટી ન કરો, તેમની શ્રદ્ધા સાથે છેડછાડ કરવાનું બંધ કરો. જો કોઈ તથ્યો કે પુરાવા નથી, તો આરોપો અને પ્રતિ-આરોપ બંધ કરો, અને જો પુરાવા હોય, તો તેને SIT સમક્ષ રજૂ કરો. સરકાર SITની ભલામણો અનુસાર કાર્યવાહી કરી રહી છે, અને જ્યારે વરિષ્ઠ અધિકારીઓની ટીમ કામ કરી રહી છે, ત્યારે તેના વિશે રાજકીય નિવેદનો આપવાનું બંધ કરો.
રામ મંદિર દાન ચોરી મામલે સંજય રાઉતનું નિવેદન
શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિવસેના દ્વારા દાનમાં આપવામાં આવેલી 4 કિલો ચાંદીની ઇંટ ગાયબ થવા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રાઉતે આગળ લખ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ હજારો શિવસૈનિકો અને સંતોની હાજરીમાં પૂરા દિલથી ₹1 કરોડ અને એક પવિત્ર ચાંદીની ઇંટનું દાન કર્યું હતું. છતાં, વર્ષો પછી પણ, ટ્રસ્ટ તરફથી કોઈ રસીદ કે અપડેટ મળ્યું નથી. આ ઇંટ ક્યાં ગઈ? હવે સંપૂર્ણ તપાસ અને જવાબદારીનો સમય આવી ગયો છે.