એર ઈન્ડિયા ફ્લાઈટ AI-171 ક્રેશને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અટકળો વચ્ચે વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. ઈટાલીના એક અખબારમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ અકસ્માત જાણી જોઈને કરવામાં આવ્યો હોય શકે છે. આ દાવા બાદ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પ્લેન ક્રેશની તપાસ હજૂ પૂર્ણ થઈ નથી: AAIB
આ અટકળો પર વિરામ મૂક્તા AAIBએ સ્પષ્ટ કર્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 સંબંધિત તપાસ હજુ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું નથી. બ્યુરોએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર ભ્રામક અને પાયાવિહોણી છે. કોઈપણ વ્યક્તિ અથવા પક્ષને મજબૂત પુરાવા વગર દોષિત ઠેરવવું સંપૂર્ણપણે ગેરજવાબદાર અને અયોગ્ય છે.













