અમદાવાદમાં ગયા વર્ષે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના કેસ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વિગતવાર રિપોર્ટ માગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમલયા બાગચીની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


AAIBની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો રહેશે

કોર્ટે ખાસ કરીને Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા ચાલી રહેલી તપાસની પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. સાથે જ અત્યાર સુધી કયા પ્રોસિજર અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે તેની માહિતી પણ આપવા નિર્દેશ કર્યો છે. આ અહેવાલ આંતરરાષ્ટ્રીય માપદંડો, ખાસ કરીને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ના નિયમો મુજબ હોવો જોઈએ તેવી પણ કોર્ટે સ્પષ્ટતા કરી છે.

AAIBના પ્રાથમિક રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા

સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટ સીલ કવરમાં જમા કરાવવા અને સાથે એફિડેવિટ પણ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે AAIB દ્વારા ફેક્ટ-ફાઇન્ડિંગ તપાસ ICAOના નિયમો મુજબ ચાલી રહી છે અને તપાસ હવે લગભગ પૂર્ણ થવા આવી છે. આ કેસમાં દાખલ થયેલી એક અરજી પાઈલટ સુમીત સભરવાલના પિતાએ કરી છે, જેમાં AAIBના પ્રાથમિક રિપોર્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે 3 અઠવાડિયા બાદ ફરી સુનાવણી રાખી છે, જેમાં તપાસના પ્રોગ્રેસ રિપોર્ટ પર વિચારણા થશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે થયેલી આ ભયાનક દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેના કારણે દેશભરમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આ પણ વાંચો : Gandhinagar : મહાત્મા મંદિર ખાતે સહકાર મંત્રીની રાષ્ટ્રીય પરિષદ યોજાશે, અમિત શાહ કરશે પરિષદનું ઉદ્ઘાટન


  • Follow us on: