દેશના તમામ રાજ્યોના સહકારી મંત્રીઓ આગામી 17 અને 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં એકત્રિત થવા જઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સહકાર મંત્રીઓની બીજી રાષ્ટ્રીય પરિષદ યોજાવવાની છે. આ મહત્ત્વપૂર્ણ પરિષદમાં દેશભરના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા અને મંત્રણાનું આયોજન કરવામાં આવ્યું છે.
સહકારી આંદોલનને વધુ સશક્ત બનાવાશે
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આ પરિષદનું ઉદ્ઘાટન કરશે અને સહકારી આંદોલનને વધુ સશક્ત બનાવવાના દિશામાં માર્ગદર્શન આપશે. પરિષદ દરમિયાન વિવિધ રાજ્યોના અનુભવો, નવી નીતિઓ, સહકારી સંસ્થાઓની પારદર્શિતા, ટેકનોલોજીના ઉપયોગ અને ગ્રામિણ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સહકાર મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સત્તાવાર પત્ર લખીને પરિષદ અંગે જાણ કરવામાં આવી છે.













