ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, તીવ્ર પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતના મોટા ભાગમાં હિમવર્ષા, વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન અનેક રાજ્યોમાં ઠંડી વધુ વધવાની સાથે જનજીવન પર અસર થવાની શક્યતા છે.


કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાની આગાહી

હવામાન વિભાગે 22 અને 23 જાન્યુઆરી દરમિયાન કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાં વ્યાપક વરસાદ અને બરફ પડવાની સંભાવના છે. ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં રસ્તાઓ બરફથી ઢંકાઈ શકે છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે.

પ્રવાસીઓ માટે ખાસ સૂચના

23 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશના ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. આ દરમિયાન 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. હિમાચલ અને કાશ્મીર જતા પ્રવાસીઓને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે રસ્તાઓ લપસણા બની શકે છે અને ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે.

દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં વરસાદની અસર

દિલ્હી-NCRમાં આજે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ હવામાન વિભાગ અનુસાર સાંજ સુધીમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે વાવાઝોડા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને લઈ યેલો ચેતવણી જાહેર કરવામાં આવી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. વરસાદ બાદ ઠંડી પવન ફૂંકાવાથી ઠંડકમાં વધારો થશે.

ઉત્તર પ્રદેશમાં:

પશ્ચિમ યુપી (22 થી 24 જાન્યુઆરી)

પૂર્વી યુપી (23 થી 24 જાન્યુઆરી)

હળવો થી મધ્યમ વરસાદ અને ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે પવનની આગાહી કરવામાં આવી છે. ખુલ્લામાં કામ કરતા લોકો, ખેડૂત અને મુસાફરોને વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ટ્રાફિક જામ અને ફ્લાઇટમાં વિલંબ થવાની શક્યતા છે.

અન્ય અસરગ્રસ્ત રાજ્યો

પંજાબ, હરિયાણા અને ચંદીગઢ: 22 અને 23 જાન્યુઆરી દરમિયાન હળવો થી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે.

રાજસ્થાન: કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

પહાડી વિસ્તારો: વધતી ઠંડીને કારણે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી અથવા તેનાથી નીચે જઈ શકે છે, જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનશે.

હવામાન વિભાગની સલાહ

હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે કે, આનાવશ્યક મુસાફરી કરવાનું ટાળો , સાથે હવામાન અપડેટ પર નજર રાખો અને પહાડી વિસ્તારોમાં જતા પહેલા સ્થાનિક પ્રશાસન સાથે માહિતી લો. જો ઘરમાં વૃદ્ધો અને બાળકો હોય તેમનું ખાસ ધ્યાન આપજો .

આ પણ વાંચો : Maharashtraના 29 શહેરોમાં મેયર કોણ બનશે? જાણો લોટરીની સંપૂર્ણ પ્રક્રિયા


  • Follow us on: