પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ દુઃખી છે. આ હુમલામાં ઘણા નિર્દોષ ભારતીયોના મોત થયા અને અનેકલોકો ઘાયલ થયા છે, ત્યારે દેશની દિગ્ગજ કંપની રિલાયન્સે આ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલો ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે. આ દરમિયાન મુકેશ અંબાણી ઘાયલોની સારવાર માટે મોટી જાહેરાત પણ કરી છે.
અમે વડાપ્રધાન મોદી અને ભારત સરકારની સાથે: મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનના સર એચ.એન. હોસ્પિટલમાં હુમલામાં ઘાયલ થયેલા લોકોની મફતમાં સારવાર કરવામાં આવશે. મુકેશ અંબાણીએ આતંકવાદને માનવતાનો દુશ્મન ગણાવ્યો અને તેમણે કહ્યું હુમલાને કોઈપણ રીતે કે કોઈએ સમર્થન આપવું જોઈએ નહીં. આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં અમે વડાપ્રધાન મોદી અને ભારત સરકાર અને સમગ્ર રાષ્ટ્રની સાથે છીએ.
આ મુશ્કેલ સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સાથે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ મુશ્કેલ સમયમાં દેશની સાથે ઉભી છે. કંપની આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપશે. રિલાયન્સ ફાઉન્ડેશન ઘાયલોને સારી સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે પીડિતોના પરિવારોની સાથે ઉભી છે. તેમને દરેક શક્ય રીતે મદદ કરીશું. રિલાયન્સ માને છે કે આતંકવાદને જડમૂળમાંથી નાબૂદ કરવો જરૂરી છે.
સરકારે કડક પગલાં લીધા
તમને જણાવી દઈએ કે પહલગામ આતંકવાદી હુમલાની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની પ્રતિજ્ઞા લીધી છે. ભારત સરકારે કાશ્મીર ખીણમાં સુરક્ષા કડક કરવી, સિંધુ જળ સંધિ સ્થગિત કરવી અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી દેવા સહિતના અનેક પગલાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આતંકી હુમલામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.