• બિરેન સિંહે રાજ્યમાં સ્થિતિ પૂર્વવત થવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત

  • સીએમની વહીવટી કુશળતાની થઈ રહી છે પ્રશંસા
  • હિંસા પાછળ સંભવિત આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો આપ્યો સંકેત

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈ વિશ્વનાં અનેક દેશોમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધનાં આરંભ પૂર્વે ભારતનાં મણિપુરમાં હિંસાનું વાતાવરણ ફેલાયું હતું. જેના પડઘા દેશમાં જ નહીં પરંતુ ભારતની બહાર અનેક ક્ષેત્રોમાં પડ્યા હતાં. હાલ આ પ્રદેશમાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આ મુદ્દે મણિપુરનાં મુખ્યપ્રધાન બિરેન સિંહે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

પુન: શાંતિ સ્થપાશે

મણિપુરના ઇમ્ફાલમાં મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે પત્રકારો સાથે વાતચીત કરતાં ખાતરી આપી હતી કે ''મણિપુર રાજ્ય સામાન્ય સ્થિતિમાં પાછું આવશે, શાંતિ પુનઃસ્થાપિત થશે અને લોકોમાં ખુશી છવાશે". બિરેન સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ''રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવશે.''

સીએમે ઇમ્ફાલમાં અનેક વિકાસ યોજનાઓનો કર્યો શિલાન્યાસ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અરાજકતાનો માહોલ છે. હિંસાનાં બનાવોથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી સ્થિતિમાં રાજ્યનાં મુખ્યપ્રધાન બિરેન સિંહ દ્વારા અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સીએમે આ પ્રકારનાં કાર્યોથી તેમની વહીવટી કુશળતાનો પરિચય આપ્યો છે. જે બદલ તેમની પ્રશંસા થઈ રહી છે.

દારૂગોળો જપ્ત કરવા પર મણિપુર પોલીસની પ્રશંસા

બિરેન સિંહે મણિપુર પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે "મણિપુર પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળો દ્વારા એક મોટી સફળતામાં, મ્યાનમાર સ્થિત આતંકવાદી જૂથ CKLA પાસેથી બહુવિધ શસ્ત્રો, દારૂગોળો, ડ્રગ્સ અને રોકડ પકડવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા શસ્ત્રોમાં AK47, ઇન્સાસ, સ્નાઇપર અને M16 રાઇફલ્સ સાથે દારૂગોળાના વિશાળ જથ્થાનો સમાવેશ થાય છે. વધુમાં આશરે 2.5 કિલો વજનનું અફીણ, રૂ. 4,86,500 રોકડ અને અન્ય વિવિધ ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. અગાઉ એનઆઈએ દ્વારા એવા કેસો હાથ ધરવામાં આવ્યા હતાં જેમાં ખાસ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે મ્યાનમાર અને બાંગ્લાદેશ આધારિત આંતરરાષ્ટ્રિય ષડયંત્ર અસ્તિત્વમાં છે. સીકેએલએ શસ્ત્રોની પુનઃપ્રાપ્તિએ મણિપુર અને રાષ્ટ્ર બંનેને અસ્થિર કરવાના હેતુથી ફરી એક આંતરરાષ્ટ્રીય કાવતરું રેખાંકિત કર્યું છે.''

હિંસા પાછળ સંભવિત આંતરરાષ્ટ્રીય ષડયંત્ર

અગાઉ નાગપુરમાં તેમના વિજયાદશમીના સંબોધનમાં આરએસએસના વડા મોહન ભાગવતે પણ મણિપુરમાં હિંસા પાછળ સંભવિત આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો સંકેત આપ્યો હતો. તેમણે આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું "શું આ ઘટનાઓમાં દક્ષિણ-પૂર્વ એશિયાની ભૂ-રાજનીતિની પણ ભૂમિકા છે? દેશમાં એક મજબૂત સરકાર હોવા છતાં, કોના બળ અને ઉશ્કેરણી પર આટલા દિવસો સુધી આ હિંસા અવિરત ચાલુ રહી? આ હિંસા શા માટે ફાટી નીકળી અને ચાલુ રહી. જો કે એક રાજ્ય સરકાર હતી જે છેલ્લા નવ વર્ષથી પ્રવર્તતી શાંતિ જાળવી રાખવા માંગતી હતી?" મોહન ભાગવતે જણાવ્યું હતું. હાઇકોર્ટે રાજ્યને અનુસૂચિત જનજાતિની યાદીમાં મેઇતેઇ સમુદાયના સમાવેશ અંગે વિચારણા કરવા નિર્દેશ આપ્યા બાદ રાજ્ય આ વર્ષે હિંસાના સર્પાકારનું સાક્ષી રહ્યું હતું.


  • Follow us on: