કોંગ્રેસ સાથે વધતા તણાવના અહેવાલો વચ્ચે કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી છે. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથેનો એક સેલ્ફી પણ શેર કરી હતી. તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથેનો એક સેલ્ફી શેર કરતા જણાવ્યું કે યુકેના વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથેની વાતચીત સારી રહી. બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલી FTA ચર્ચાઓ ફરી શરૂ થવી આવકાર્ય છે.
પીએમ મોદીની અમેરિકા મુલાકાતની કરી હતી પ્રશંસા
મહત્વનું છે કે શશિ થરૂરે અગાઉ કેરળની પિનરાઈ વિજયન સરકારની પ્રશંસા કરી હતી. આ પછી તેઓએ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પણ પ્રશંસા કરી હતી. જો કે કેરળ સરકારની પ્રશંસા કર્યા પછી સીપીઆઈ (m) ના વરિષ્ઠ નેતા થોમસ આઇઝેકે કહ્યું હતું કે જો થરૂર કોંગ્રેસ છોડી દે છે, તો તેઓ કેરળના રાજકારણમાં એકલા રહેશે નહીં. તેમને પોતાનું વલણ સ્પષ્ટ કરવા દો, પરંતુ સીપીઆઈ(એમ)ને થરૂરને સ્વીકારવામાં કોઈ સમસ્યા નથી. અમારી પાર્ટીએ પહેલા પણ ઘણા કોંગ્રેસના નેતાઓનું સ્વાગત કર્યું છે. તેમણે થરૂરના આટલા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહેવુ તે એક ચમત્કાર ગણાવ્યો.
શશી થરૂરએ જણાવ્યું હતું કે કેરળમાં પિનારાઇ વિજયનના નેતૃત્વ વાળી સરકારની આર્થિક નીતિઓ અને સ્ટાર્ચ અપ ઇનિશિએટીવ માટે પ્રશંસા કરી હતી. આ ઇન્ટરવ્યુમાં શશી થરૂરે સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ કોંગ્રેસ પર નિર્ભર નથી.
રાહુલ ગાંધી સાથે કરી હતી બેઠક
તેમણે કહ્યું હતું કે જો પાર્ટી મને ઈચ્છે છે તો હું પાર્ટી માટે હાજર રહીશ. જો નહીં, તો મારે મારું પોતાનું કામ કરવાનું છે. તમારે એવું ન વિચારવું જોઈએ કે મારી પાસે સમય પસાર કરવાનો કોઈ વિકલ્પ નથી. મારી પાસે વિકલ્પો છે. મારી પાસે દુનિયાભરમાંથી પુસ્તકો, ભાષણો, પ્રવચનો આપવા માટે આમંત્રણો છે. આ પછી તેમને રાહુલ ગાંધીએ બોલાવ્યા હતા. રાહુલ ગાંધીને મળ્યા બાદ તેમણે કહ્યું કે કોંગ્રેસના સાંસદ સાથે તેમની ખૂબ સારી વાતચીત થઈ. તેમણે એમ પણ કહ્યું કે બંધ દરવાજા પાછળ યોજાયેલી આ બેઠક વિશે તેઓ વધુ કોઈ માહિતી આપી શકતા નથી.