- ભારત મંડપમ એ ભારતમાં સૌથી મોટું કન્વેન્શન કેન્દ્ર છે
- 26 જુલાઈ 2023ના પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું હતું
- ભારત મંડપમ ત્રણ માળની ઇમારત છે, જાણો ખાસિયતો
ભારત મંડપમ એ ભારતમાં સૌથી મોટું કન્વેન્શન કેન્દ્ર છે. તેનું ઉદ્ઘાટન 26 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ભારત મંડપમની દિવાલ પર 26 સ્ક્રીન બોર્ડ લગાવવામાં આવ્યા છે. હાલ G-20ને લઈને દુનિયાભરની નજર ભારત મંડપમ પર ટકેલી છે. પરંતુ શું તમે ભારત મંડપમની ખાસિયતો વિશે જાણો છો.
રાજધાની દિલ્હીમાં શનિવારના રોજ G-20 સમિટની શરૂઆત તો થઈ ચૂકી છે. દુનિયાભરના દિગ્ગજો ભારત પહોંચ્યા છે. સમગ્ર દિલ્હીમાં દરેક ખૂણે-ખૂણે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આજે અને કાલે ભારતના વડાપ્રધાન અને અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરશે. G-20 સમિટ ભારત મંડપમમાં યોજાઈ રહી છે. શું તમે જાણો છો કે ભારત મંડપમનું નામ કેવી રીતે પડ્યું? તેને બનાવવા માટે કેટલો ખર્ચ થયો? તો ચાલો જાણીએ આ સાથે જોડાયેલા 5 સૌથી રસપ્રદ તથ્યો.
ભારતનું સૌથી મોટું કન્વેન્શન કેન્દ્ર
ભારત મંડપમ એ ભારતનું સૌથી મોટું કન્વેન્શન કેન્દ્ર છે. તેનું ઉદ્ઘાટન 26 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ભારત મંડપમની દિવાલ પર 26 સ્ક્રીન બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં ભારતના પાંચ હજાર વર્ષના ઈતિહાસ સાથે જોડાયેલી માહિતી ઉપલબ્ધ છે.
તેનું નામ કેવી રીતે પડ્યું?
ભારત મંડપમ નામ ભગવાન બસવેશ્વરના 'અનુભવ મંડપમ' પરથી પ્રેરિત છે. અનુભવ મંડપમાં સાર્વજનિક કાર્યક્રમો થતા હતા. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે અનુભવ મંડપમ ચર્ચા અને સંવાદની લોકતાંત્રિક પદ્ધતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે આજે દુનિયા માને છે કે ભારત લોકશાહીની જનની છે.
26 ફૂટબોલ સ્ટેડિયમ સમાઈ શકે છે
ભારત મંડપમ ત્રણ માળની ઇમારત છે. આ આખું કન્વેન્શન સેન્ટર 123 એકરમાં ફેલાયેલું છે. દરેક ફ્લોર અને દરેક રૂમની એક ખાસ ઓળખ છે. ભારત મંડપમ કુલ 26 ફૂટબોલ સ્ટેડિયમ સમાન છે. એટલે કે તેની અંદર 26 સ્ટેડિયમ ફિટ થઈ જઈ શકે છે.
5000 વાહનો માટે પાર્કિંગ
રાજધાની દિલ્હીમાં બનેલા ભારતના સૌથી મોટા કન્વેન્શન સેન્ટર ભારત મંડપમમાં દરેક સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા માળે કુલ 18 રૂમ છે. આ સિવાય અહીં VIP લાઉન્જ પણ છે. આ રૂમોનો ઉપયોગ કોન્ફરન્સ માટે કરવામાં આવશે. બીજા માળે બે મોટા હોલ બનાવવામાં આવ્યા છે. આ ફ્લોર પર સમિટ રૂમ સિવાય એક લાઉન્જ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ત્રીજા માળે ભવ્ય હોલ બનાવવામાં આવ્યો છે. તેમાં સાત હજાર લોકો એકસાથે બેસી શકશે. અહીં આવતા લોકો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક સાથે 5000 વાહનો પાર્ક કરી શકાય છે.
દિલ્હીની બારી
સંજય સિંહ નામના આર્કિટેક્ટ દ્વારા ભારત મંડપમની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેને દિલ્હીની બારી તરીકે બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ભારત મંડપના નિર્માણમાં કુલ 2700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.