મીઠાઈ વગર આપણા તહેવાર અધૂરા હોય છે. રક્ષાબંધન તહેવાર નજીકમાં છે. તહેવારમાં દરેક વખતે બજારમાંથી મીઠાઈ લાવવી શકતા નથી. લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. કેટલાક લોકો ફિટનેસ બાબતે વધુ સજાગ હોય અથવા તો સ્વાસ્થ્ય સમસ્યા હોય છે. અને આ લોકો જયારે ઘરે મહેમાન બની આવવાના હોય ત્યારે કઈ વાનગી બનાવવું તેની મૂંઝવણ રહે છે. કારણ કે મોટાભાગની મીઠાઈમાં ખાંડ અથવા ગોળનો ઉપયોગ થાય છે. આજે તમને પૌષ્ટિક મીઠાઈની વાનગીની રેસીપી જણાવીશું.


ખજૂરના લાડુ

રક્ષાબંધન અથવા પછીના તહેવારોમાં પણ તમે આ મીઠાઈ બનાવી તેના સ્વાદનો આનંદ માણી શકશો. આ પૌષ્ટિક વાનગી તમે ઉપવાસમાં ફરાળ તરીકે પણ ખાઈ શકો છો. આજની વાનગીમાં તમને ખજૂરના લાડુ બનાવવાની રેસીપી જણાવીશું.

ખજૂરના લાડુ બનાવવા સામગ્રી :

  • 1 કપ ખજૂર (ક્રશ કરેલી ખજૂર)
  • 1/4 કપ બદામ
  • 1/4 કપ કાજુ
  • 1/4 કપ અખરોટ
  • 1/4 કપ પિસ્તા
  • 1 ચમચી ઘી
  • સ્વાદ મુજબ ઇલાયચી પાઉડર

ખજૂરના લાડુ બનાવવાની રીત:

  • આ લાડુ બનાવવા સૌ પ્રથમ તમારે આખી ખજૂરને મિકસરમાં અધકચરી ક્રશ કરવી પડશે અથવા તો તમે નાના ટુકડા કરી શકો છો. ત્યાર બાદ એક કઢાઈમાં 1 ચમચી ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલ ખજૂરને હળવા હાથે સાંતળો.
  • થોડીવાર સાંતળવાથી તેમાંથી સુગંધ આવવા લાગશે. થોડું પેસ્ટ જેવું થવા લાગે એટલે ફરી તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો. હવે આ જ કઢાઈમાં ખજૂરની પેસ્ટ ઉમેરો અને તેમાં તમામ ડ્રાયફ્રૂટ વારાફરતી નાખો.
  • ત્યારબાદ 3-4 મિનિટ માટે ખજૂરના મિશ્રણને ધીમા તાપે સાંતળો પછી તે ઘટ્ટ થવા લાગે એટલે કે કઢાઈ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી લો. ખજૂરનું આ મિશ્રણ થોડું ઠંડુ થાય પછી હાથમાં થોડું ઘી લગાવી નાના લાડુ બનાવી લો.
  • આ પૌષ્ટિક મીઠાઈ બનાવીને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. બસ, 1 લાડુ ખાશો તો લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં. આમ, આ મીઠાઈ વજન ઉતારવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

  • Follow us on: