ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ જૂનાગઢના રાજકારણમાં ભારે ઉત્તેજના ફેલાવી દીધી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર આવેલા પરિણામોમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) બંનેને ફાળે 9-9 બેઠકો આવતા સત્તા મેળવવા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.


આપ દ્વારા ઉમેદવારોની 'ઘેરાબંધી':

પરિણામો બાદ પક્ષપલટાની આશંકાને જોતા આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. 'આપ'ના તમામ વિજેતા ઉમેદવારોને તાત્કાલિક એક અજ્ઞાત સ્થળે લઈ જઈને બેઠક યોજવામાં આવી હતી. પક્ષના નેતૃત્વએ દાવો કર્યો છે કે તેમના ઉમેદવારો કોઈપણ પ્રલોભનમાં આવ્યા વગર અકબંધ રહેશે. "ભ્રષ્ટાચાર મુક્ત શાસન" ના મંત્ર સાથે આપ હવે તાલુકા પંચાયત પર કબજો કરવા માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે.

ભાજપ પણ મચક આપવા તૈયાર નથી

સામે પક્ષે ભાજપે પણ સ્પષ્ટ કર્યું છે કે જનતાએ તેમના વિકાસના કામો પર મહોર મારી છે, તેથી શાસન તો ભાજપનું જ રહેશે. સત્તાનો આ પેચ ઉકેલવા માટે ભાજપના મોવડી મંડળ દ્વારા કાયદાકીય નિષ્ણાંતો અને વહીવટી અધિકારીઓની સલાહ લેવામાં આવી રહી છે.

હવે આગળ શું?

સત્તાના આ જંગમાં હવે અંતિમ નિર્ણય વહીવટી પ્રક્રિયા પર નિર્ભર છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાતી શક્યતાઓ મુજબ આગામી બેઠકમાં ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખ નક્કી કરવામાં આવી શકે છે. અથવા અઢી-અઢી વર્ષની ટર્મ માટે સત્તાની વહેંચણી અંગે કોઈ સમજૂતી સધાય. હાલ તો બંને પક્ષો પોતાના ગઢ સાચવી રહ્યા છે, પરંતુ જૂનાગઢની જનતાની નજર હવે વહીવટી તંત્રના આગામી આદેશ પર ટકેલી છે.


આ પણ વાંચો----    Ahmedabadની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી, વટવામાં 35 વર્ષ પહેલા યુવતીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી હોવાની આશંકા

  • Follow us on: