અંડર-19 વર્લ્ડકપમાં સુપર-6 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આજે આ ટુર્નામેન્ટની પહેલી સુપર-6 મેચ રમી રહી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની સુપર-6 મેચ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે.


સુપર-6 મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ મેચમાં હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આવું કેમ કર્યું તેની પાછળનું મુખ્ય કારણ હવે સામે આવ્યું છે.

ઈન્દ્રજીત બિન્દ્રાનું દિલ્હીમાં થયું અવસાન

હકીકતમાં ભૂતપૂર્વ BCCI પ્રમુખ ઈન્દ્રજીત બિન્દ્રાનું તાજેતરમાં નવી દિલ્હીમાં અવસાન થયું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઈન્દ્રજીત બિન્દ્રાને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી પહેરી હતી. ઈન્દ્રજીત બિન્દ્રાએ 1993 થી 1996 સુધી BCCI પ્રમુખ અને 1978 થી 2014 સુધી પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

2015માં પ્રશાસક તરીકેની તેમની સેવાઓને માન્યતા આપવા માટે મોહાલીના PCA સ્ટેડિયમનું નામ બદલીને આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ રાખવામાં આવ્યું. શરદ પવારના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમને ICCના મુખ્ય સલાહકાર તરીકે પણ સેવા આપી હતી.


પહેલા બેટિંગ કરી રહી છે ટીમ ઈન્ડિયા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી મેચની વાત કરીએ તો ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા મેચમાં પહેલા બેટિંગ કરી રહી છે અને મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં સારી શરૂઆત પણ કરી છે. ભારતીય ટીમ આ અંડર-19 વર્લ્ડકપમાં એક પણ મેચ હાર્યું નથી. તેઓ આજે આ મેચ જીતીને પોતાનું જીતનું ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ઝિમ્બાબ્વે : નાથાનિએલ હલાબંગાના (વિકેટકીપર), ધ્રુવ પટેલ, કિઆન બ્લિગ્નૉટ, બ્રેન્ડન સેનજેરે (કેપ્ટન), લેરોય ચિવૌલા, માઈકલ બ્લિગ્નૉટ, સિમ્બરાશે મુડંજેંજેરેરે, તાકુદ્જ઼વા મકોની, તાતેંડા ચિમુગોરો, પનાશે મજાઈ, વેબસ્ટર મધિધિ.

ભારત : એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ પટેલ, હેનીલ પટેલ, ઉદ્ધવ મોહન.

આ પણ વાંચો: T20 World Cup: સ્કોટલેન્ડે ટીમની કરી જાહેરાત, આ સ્ટાર ખેલાડીને બનાવ્યો કેપ્ટન



  • Follow us on: