વિરાટ કોહલી અને રોહિત શર્માના ફેન્સ માટે મોટા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના બે મહાન બેટ્સમેનોએ T20 અને ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. વિરાટ કોહલી અને રોહિત ફક્ત વનડેમાં જ પ્રદર્શન કરતા જોવા મળશે.


પરંતુ ઘણા ફેન્સ જાણવા માટે ઉત્સુક છે કે આ બંને બેટ્સમેન કેટલા દિવસ પછી મેદાન પર જોવા મળશે? તો તમને જણાવી દઈએ કે બંને સ્ટાર ખેલાડીઓ ક્યારે રમતાં જોવા મળશે.

ક્યારે પરત ફરશે કોહલી-રોહિત?

વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનમાં પરત ફરવા માટે ફેન્સને 2 મહિનાથી વધુ રાહ જોવી પડશે. ભારતીય ટીમના આ બે મહાન બેટ્સમેન ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સિરીઝમાં રમતા જોવા મળશે. આ સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થશે.

એટલે કે 19 ઓક્ટોબરે કોહલી-રોહિતને ફેન્સ ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતા જોઈ શકશે. પહેલી વનડે પર્થમાં રમાશે. બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં અને સિરીઝની છેલ્લી મેચ 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી છેલ્લી મેચ

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઈટલ જીત્યું. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને એકતરફી રીતે 4 વિકેટથી હરાવ્યું. ટાઈટલ મેચમાં રોહિતનું બેટ જોરથી બોલ્યું અને તેને 83 બોલમાં 76 રનની ધમાકેદાર ઈનિંગ રમી. હિટમેનને તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં રમાયેલી 5 મેચમાં 218 રન બનાવ્યા.

એશિયા કપમાં પણ રમી શકશે નહીં કોહલી અને રોહિત

વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપ એ જ ફોર્મેટમાં રમાશે જેમાં તેના પછી વર્લ્ડકપ યોજાવાનો છે. આવતા વર્ષે એટલે કે 2026 માં T20 વર્લ્ડકપ યોજાશે, તેથી આખો એશિયા કપ ફક્ત T20 ફોર્મેટમાં જ રમાશે, જેથી ટીમોને તેની તૈયારી કરવાની તક મળશે.


  • Follow us on: