ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ ઓવલમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 રનથી જીતીને સિરીઝ 2-2 થી સમાપ્ત કરી હતી.
મેચના છેલ્લા દિવસે પહેલા સેશનમાં ટીમ ઈન્ડિયાએ ખૂબ જ ખતરનાક બોલિંગ જોવા મળી હતી, જેના કારણે ઈંગ્લેન્ડના છેલ્લા 4 બેટ્સમેન 36 રન પણ બનાવી શક્યા ન હતા. આ મેચમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની જોડીએ શાનદાર બોલિંગ કરી અને 56 વર્ષ પછી ટીમ ઈન્ડિયા માટે એક મોટી સિદ્ધિ મેળવી.
સિરાજ-કૃષ્ણાએ કર્યું મહાન કાર્ય
ઓવલ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ અદ્ભુત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં બોલિંગ કરતી વખતે મોહમ્મદ સિરાજે 5 વિકેટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ લીધી હતી. સિરાજ અને કૃષ્ણાએ 56 વર્ષ પછી ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં 4 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.
આ કારણે સિરાજ-કૃષ્ણાની જોડી હવે એક ટેસ્ટની બંને ઈનિંગમાં 4 કે તેથી વધુ વિકેટ લેનારી બીજી ભારતીય જોડી બની ગઈ છે. આ પહેલા બિશન સિંહ બેદી અને એરાપલ્લી પ્રસન્નાએ 1969માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા માટે આ સિદ્ધિ મેળવી હતી.
છેલ્લા દિવસે ઈંગ્લેન્ડ 36 રન બનાવવામાં રહ્યું નિષ્ફળ
આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 369 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાંચમા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 4 વિકેટની જરૂર હતી, ત્યારે ઈંગ્લેન્ડને 36 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ હાર માની લીધી અને ટીમ ઈન્ડિયા મેચ જીતી ગઈ. મેચના પહેલા દાવમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે 4-4 વિકેટ લીધી. આ મેચમાં શાનદાર પ્રદર્શન માટે મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.