ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ટીમ માટે જેટલી સારી બેટિંગ અને બોલિંગ હોય છે, તે જ રીતે ફીલ્ડિંગ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. SENA દેશમાં જો ટેસ્ટ મેચમાં કોઈ ટીમના સ્લીપમાં રહેનારો ફીલ્ડર સારું પ્રદર્શન ન કરે તો મેચમાં સામેની ટીમને ટક્કર આપવી ખૂબ જ મુશ્કેલ બને છે.
આવું જ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે લીડ્સના મેદાન પર ચાલી રહેલી સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બેટિંગમાં પહેલી ઈનિંગમાં સદી ફટકારવામાં સફળ રહ્યો પરંતુ ફીલ્ડિંગના મામલે નિષ્ફળ રહ્યો છે, જેનું પરિણામ ટીમ ઈન્ડિયાને અત્યાર સુધી આ મેચમાં સહન કરવો પડ્યું છે.
યશસ્વીએ છોડ્યા ત્રણ મહત્ત્વપૂર્ણ કેચ
લીડ્સ ટેસ્ટ મેચ જ્યારે શરૂ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ત્યારે ફેન્સને બોલરો પાસેથી સમાન પ્રદર્શનની આશા હતી, આ માટે તેમને ફિલ્ડરોના સપોર્ટની પણ જરૂર હતી. પરંતુ આવું બિલકુલ થતું જોવા ન મળ્યું. યશસ્વી જયસ્વાલે આ મેચમાં અત્યાર સુધી કુલ ત્રણ કેચ છોડી દીધા છે અને ત્રણેય ટીમ ઈન્ડિયા માટે મોંઘા સાબિત થયા.
મેચના બીજા દિવસે જ્યારે યશસ્વી જયસ્વાલે ગલીમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈંગ્લેન્ડ ટીમના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટનો સરળ કેચ છોડ્યો, ત્યારે તે સમયે તે 15 રનના સ્કોર પર હતો. ત્યારબાદ બેન ડકેટ 62 રનની ઈનિંગ રમીને આઉટ થયો.
મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલે બુમરાહના બોલ પર સ્લિપમાં ઓલી પોપનો કેચ છોડી દીધો અને ત્યારબાદ તે 62 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો અને પછી પોપ સદી ફટકારવામાં સફળ રહ્યો. ત્રીજા દિવસની મેચમાં યશસ્વીએ હેરી બ્રુકનો ત્રીજો કેચ છોડી દીધો, જે 82 રનના સ્કોર પર હતો, પરંતુ બ્રુક પાછળથી 99 રનના સ્કોર પર આઉટ થયો હતો.
જસપ્રીત બુમરાહે લીધી 5 વિકેટ
ઈંગ્લેન્ડની ટીમ લીડ્સ ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ઈનિંગમાં 465 રનમાં ઓલઆઉટ થઈ ગઈ જ્યારે ભારતે પહેલી ઈનિંગના 471 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા પાસે પહેલી ઈનિંગની 6 રનની લીડ છે. ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે બેટિંગમાં 106 રન બનાવ્યા હતા જ્યારે હેરી બ્રુકે 99 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ બોલિંગમાં 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ લીધી હતી જ્યારે સિરાજે 2 વિકેટ લીધી હતી.