• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જૂનથી થશે
  • એપ્રિલમા અંતમાં ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત
  • T20 વર્લ્ડકપ રમવા માટે 100 ટકા તૈયાર: કાર્તિક

આ વર્ષે જૂન મહિનામાં T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. IPLમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. આ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિનેશ કાર્તિકે વર્લ્ડકપની શરૂઆત પહેલા મોટું નિવેદન આપ્યું છે. દિનેશ કાર્તિક લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. જોકે, તે IPL દરમિયાન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. જે બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે તેને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવી શકે છે.

હું વર્લ્ડકપ માટે 100% આપીશ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર દિનેશ કાર્તિકે પુષ્ટિ કરી છે કે તે આગામી T20 વર્લ્ડકપ 2024માં રમવા માટે 100 ટકા તૈયાર છે. 1 જૂને T20 વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા 39 વર્ષનો કાર્તિક શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ફરીથી ભારત માટે રમવાનું સપનું છોડ્યું નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 દરમિયાન, દિનેશ કાર્તિક અન્ય ભારતીય વિકેટકીપર બેટ્સમેનો કરતાં વધુ સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.

દિનેશ કાર્તિકે શું કહ્યું?

કાર્તિકે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ પહેલા T20 વર્લ્ડકપ માટે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તેની ઇચ્છાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે મારા જીવનના આ તબક્કે ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સૌથી મોટી સિદ્ધિ હશે. આ T20 વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કરતાં મોટું મારા જીવનમાં બીજું કંઈ નથી.

કાર્તિકે કહ્યું કે તે ભારતીય પસંદગીકારોના નિર્ણયનું સન્માન કરશે પરંતુ તે ફરીથી ભારતીય ટીમમાં રમવા માટે 100 ટકા તૈયાર છે. તેણે કહ્યું કે મને એમ પણ લાગે છે કે વિશ્વ કપ માટે શ્રેષ્ઠ ભારતીય ટીમ કઈ હોવી જોઈએ તે નક્કી કરવા માટે ત્રણ પ્રમાણિક લોકો છે - રાહુલ દ્રવિડ, રોહિત શર્મા અને અજીત અગરકર. અને હું સંપૂર્ણપણે તેમની સાથે છું. કાર્તિકે કહ્યું કે હું તેના કોઈપણ નિર્ણયનું સન્માન કરું છું. પરંતુ હું એટલું જ કહીશ કે હું 100 ટકા તૈયાર છું અને વર્લ્ડકપ માટે શક્ય તમામ પ્રયાસો કરીશ.


  • Follow us on: