દુલીપ ટ્રોફી 2024નો બીજો રાઉન્ડ આજથી એટલે કે 11મી સપ્ટેમ્બરથી શરૂ થયો છે. જ્યાં એક તરફ ઈન્ડિયા A ઈન્ડિયા D સાથે આમનેસામને છે અને ભારત B ભારત C સાથે આમને સામને છે. ઈન્ડિયા B અને ઈન્ડિયા C વચ્ચેની મેચ દરમિયાન ઈન્ડિયા C ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર બે બોલ રમીને મેદાનની બહાર થઈ ગયો હતો. જેનું મુખ્ય કારણ હવે સામે આવ્યું છે.


ગાયકવાડે મેદાન કેમ છોડવું પડ્યું?

આ મેચમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન ઈન્ડિયા સી માટે ઈનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. આ દરમિયાન ગાયકવાડ બીજા બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયો, જેના પછી તેણે મેદાન છોડવું પડ્યું. ગાયકવાડે 2 બોલમાં 4 રન બનાવ્યા હતા. મુકેશ કુમારના પહેલા જ બોલ પર ગાયકવાડે ચોગ્ગો ફટકાર્યો હતો.

 

હજુ સુધી ગાયકવાડની ઈજાને લઈને કોઈ અપડેટ સામે આવ્યું નથી, કે તેવી ઈજા મોટી છે કે નાની. ગાયકવાડ ફરીથી બેટિંગ કરવા મેદાનમાં આવશે કે કેમ તે પણ કહી શકાય નહીં. હજુ સુધી આને લઈને કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ ફેન્સ પહેલેથી જ ગાયકવાડ માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તેની ઈજા વધુ ગંભીર ન બને.

ઋતુરાજ ગાયકવાડની સારી શરુઆત

ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં પ્રથમ દાવમાં ઋતુરાજ ગાયકવાડનું બેટ કામ કર્યું ન હતું અને તે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ તેને બીજી ઈનિંગમાં સારી બેટિંગ કરી અને 46 રન બનાવ્યા. એવું માનવામાં આવતું હતું કે તેના સારા ફોર્મને કારણે તે બીજા રાઉન્ડમાં મોટો સ્કોર કરશે પરંતુ તેને શરૂઆતમાં જ હર્ટ થઈને રિટાયર થવું પડ્યું. ઋતુરાજ ગાયકવાડે શરૂઆતમાં ટીમ છોડી દીધી પછી, સાંઈ સુદર્શન અને રજત પાટીદારની જોડીએ દાવને સારી રીતે આગળ વધારી. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈન્ડિયા C એ તેની પ્રથમ મેચમાં ઈન્ડિયા Dને 4 વિકેટથી હરાવ્યું હતું.

ઈશાન કિશનની ઈન્ડિયા Cમાં એન્ટ્રી

આ મેચ માટે ઈન્ડિયા સીની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઈશાન કિશનની પણ ટીમમાં વાપસી થઈ છે. ધ્રુવ જુરેલની જગ્યાએ ઈશાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલે છેલ્લી મેચમાં પોતાના ખરાબ પ્રદર્શનથી ટીમને ઘણી નિરાશ કરી હતી.


  • Follow us on: