- ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
- અજીત અગરકરે જણાવ્યું કે કેમ સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે
- અજિત અગકરે હાર્દિક પંડ્યાને લઈને કહી આ વાત
ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા આજે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરની સાથે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હાજર હતા. ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઘણા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? અજિત અગકરે પણ આ સવાલનો જવાબ આપ્યો હતો.
સૂર્યકુમાર કેમ બન્યા પહેલી પસંદ?
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ફેન્સ પૂછી રહ્યા હતા કે હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો છે? જેનો જવાબ ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યો હતો.
હાર્દિક પંડ્યા મહત્વનો ખેલાડી
અજીત અગરકરે કહ્યું કે સૂર્યા કેપ્ટનશિપ માટે સારો ઉમેદવાર છે. તે ટી20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ છે અને તેને ડ્રેસિંગ રૂમમાંથી સારો રિસપોન્સ મળ્યો છે. અમને એવો કેપ્ટન જોઈતો હતો જે બધી મેચ રમ્યો હોય. હાર્દિક હંમેશા અમારા માટે મહત્વનો ખેલાડી રહ્યો છે. તેના માટે ફિટનેસ એક પડકાર હતો. અમને એવો કેપ્ટન જોઈએ છે જે મોટાભાગે ઉપલબ્ધ હોય. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સૂર્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હાર્દિક વર્લ્ડકપ વિજેતા ટીમનો હતો વાઈસ કેપ્ટન
ટી20 વર્લ્ડકપ 2024માં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો. આ સમયગાળા દરમિયાન તેનું પ્રદર્શન પણ ઘણું શાનદાર રહ્યું હતું. જે બાદ ફેન્સને આશા હતી કે હાર્દિકને શ્રીલંકા પ્રવાસ માટે ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. કારણ કે રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.