- આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાશે
- બંને ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની કરશે શરૂઆત
- આવતીકાલની મેચમાં 5 ખેલાડીઓ પર રહેશે તમામની નજર
ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. આ મેચની ભારતીય સાથે સમગ્ર દુનિયાના ફેન્સ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર ટીમ તરીકે જોવામાં આવી રહી છે. ભારત માટે પણ આ મેચ ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે, ઓસ્ટ્રેલિયા મજબૂત ટીમ છે. જો ભારત આ મેચમાં જીત મેળવશે, તો આગળની મેચ માટે ભારતીય ટીમના ખેલાડીઓનું મનોબળ વધશે. સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આવું વિચારતી હશે.
આ 5 ખેલાડીઓ પર રહેશે તમામની નજર
વિરાટ કોહલી
શુભમન ગિલના ન રમવાના કારણે ભારતીય ફેન્સની નજર વિરાટ કોહલી પર રહેશે. વિરાટ કોહલી ગત થોડા મહિનાથી પોતાના જુના ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં વર્લ્ડકપની આ પ્રથમ મેચમાં વિરાટ કોહલી પાસરે ટીમ ઈન્ડિયાને ઘણી આશા રહેશે. વિરાટ કોહલીએ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, આ વર્લ્ડકપમાં વિરાટ કોહલી કેટલા રન બનાવી શકે છે.
સ્ટીવ સ્મિથ
વિરાટની જેમ સ્ટીવ સ્મિથ પણ મોટાભાગે ઓસ્ટ્રેલિયા માટે નંબર-3 પર બેટિંગ કરે છે. સ્ટીવ સ્મિથે છેલ્લા કેટલાક મહિનામાં ઓસ્ટ્રેલિયા માટે કેટલીક સારી ઈનિંગ્સ રમી છે. સ્મિથ ફાસ્ટ બોલની સાથે સ્પિન બોલ પર પણ સારી રીતે રમે છે. આવી સ્થિતિમાં ચેન્નાઈના સ્પિન ટ્રેક પર સ્મિથની ભૂમિકા વધુ મહત્વની બની જશે.
જસપ્રીત બુમરાહ
ભારતના આ ફાસ્ટ બોલરે તાજેતરમાં ગંભીર અને લાંબી ઈજા બાદ વાપાસી કરી છે. વાપસી બાદ બુમરાહે સારું પ્રદર્શન કર્યું છે. તેનું બોલિંગ ફોર્મ સારું દેખાઈ રહ્યું છે. જો તે આ વર્લ્ડકપ દરમિયાન સારું પ્રદર્શન કરશે તો ભારત માટે વર્લ્ડકપ જીતવો ખૂબ જ સરળ બની જશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુમરાહનું પ્રદર્શન જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
કેએલ રાહુલ
આ વર્લ્ડકપમાં કેએલ રાહુલ એક અલગ જ રોલમાં જોવા મળશે. આ વખતે કેએલ રાહુલ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે. જેથી તેની પાસે વિકેટકીપિંગની સાથે મિડલ ઓર્ડરમાં બેટિંગ સંભાળવાની જવાબદારી રહેશે. મિડલ ઓર્ડરમાં તેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. રાહુલે છેલ્લી કેટલીક ઈનિંગ્સમાં સારું પ્રદર્શન કર્યું છે. તે નંબર-4 અને નંબર-5 પર બેટિંગ કરી શકે છે. જો કે, જો શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે, તો અય્યર નંબર-4 પર રમશે. જેથી રાહુલને નંબર 5 પર રમવું પડશે.
શ્રેયસ અય્યર
શ્રેયસે વનડે ફોર્મેટના મિડલ ઓર્ડરમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. જો કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી ઈજાગ્રસ્ત હતો, તેમ છતાં તેણે વાપસી કરી અને તાજેતરમાં સમાપ્ત થયેલી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં સદી ફટકારી હતી. અય્યર ઓસ્ટ્રેલિયા સામે નંબર-4 પર બેટિંગ કરી શકે છે. તે સ્પિનને સારી રીતે રમી શકે છે.