• કેએલ રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર
  • કેએલ રાહુલના સ્થાને સરફરાઝ ખાનને ટીમમાં સ્થાન મળ્યું
  • આગામી ત્રણ ટેસ્ટ મેચ માટે પુજારા ટીમમાં વાપસી શક્ય

ભારતનો સ્ટાર ખેલાડી કેએલ રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. હવે રાહુલની જગ્યાએ સરફરાઝ ખાનને ટીમમાં જગ્યા મળી છે. ચાહકો એવું પણ અનુમાન લગાવી રહ્યા હતા કે ચેતેશ્વર પુજારાને ટીમમાં તક મળી શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ ફરીથી પૂજારાને યાદ ન કર્યો અને તેના સ્થાને સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધી ભારતીય ટીમે પ્રથમ બે મેચ માટે જ ટીમ જાહેર કરી હતી. 3 મેચ માટેની ટીમ હજુ આવવાની બાકી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું પૂજારાની આગામી 3 મેચમાં વાપસી શક્ય છે. શુભમન ગિલનું પ્રદર્શન જોઈને લાગે છે કે આગામી ત્રણ ટેસ્ટ માટે BCCI પુજારાને ટીમમાં સામેલ કરી શકે છે.

શુભમન ગિલનું બેટ સંપૂર્ણ ફ્લોપ

સીરિઝની આગામી 3 મેચો માટે વરિષ્ઠ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટીમમાં વાપસી કરી શકે છે. એક તરફ યશસ્વી જયસ્વાલ છે, જેણે સારુ પ્રદર્શન કર્યું છે, તો બીજી બાજુ શુભમન ગિલ ટેસ્ટ ફોર્મેટમાં નિષ્ફળ સાબિત થયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં શુભમન ગિલ ફરી એકવાર સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ગિલ એટલા ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે કે છેલ્લી 11 ટેસ્ટ ઈનિંગ્સમાં તેણે માત્ર 174 રન બનાવ્યા છે.

આગામી ત્રણ મેચમાં પુજારાની વાપસી શક્ય

હૈદરાબાદ ટેસ્ટમાં ભારતની હારનું એક કારણ શુભમન ગિલ પણ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવું જોઈએ. ચેતેશ્વર પૂજારાએ આ મહિનાની શરૂઆતમાં ઝારખંડ સામે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 17મી બેવડી સદી ફટકારી હતી અને ભારતીય પસંદગીકારોને તેના ફોર્મની ઝલક આપી હતી. આવી સ્થિતિમાં પુજારા ઈંગ્લેન્ડ સામેની આગામી 3 ટેસ્ટ મેચો માટે ટીમમાં વાપસી કરે તેવી પ્રબળ સંભાવના છે.

  • Follow us on: