- ગયા વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા
- આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને 10થી વધુ મેડલની આશા
- ભારતીય ઓલિમ્પિક એસોસિએશને મેડલ વિજેતાઓની ઈનામની રકમમાં કર્યો વધારો
મહાકુંભ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ પહેલા પણ ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. IOA એ ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનારા ખેલાડીઓનો પગાર વધારવાની જાહેરાત કરી છે. IOA એ સૌપ્રથમ 2018માં જકાર્તા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કર્યા હતા. ત્યારથી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સતત ખેલાડીઓને પુરસ્કારો આપી રહ્યું છે.
IOA એ ઈનામની રકમ વધારવાનો કર્યો નિર્ણય
મીડિયા રિપોર્ટ મુજબ ટોક્યો ઓલિમ્પિક 2021માં ગોલ્ડ મેડલ જીતનારને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાઓને 40 લાખ રૂપિયા અને બ્રોન્ઝ જીતનાર ખેલાડીઓને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે IOAએ પૈસામાં ઘણો વધારો કર્યો છે. હવે IOA ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારને 1 કરોડ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને 75 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 50 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપશે. એટલે કે ગોલ્ડ મેડલ વિજેતાની રકમ 25 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાની રકમ 35 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાની રકમ 25 લાખ રૂપિયા વધી છે.
IOA ચીફ પીટી ઉષાએ કહ્યું હતું કે ભારત આ વખતે ઓલિમ્પિકમાં તેની મેડલ ટેલીને બે આંકડામાં લઈ જશે. IOAનું માનવું છે કે આ વખતે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટ્સમાં 10 મેડલ જીતવા પડશે અને તેના માટે 7 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. IOA પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓને 25 દિવસ માટે દરરોજ 50 ડોલરનું ભથ્થું આપશે.
ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 35 ગોલ્ડ મેડલ જીત્યા
ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં કુલ 35 મેડલ જીત્યા છે, જેમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. અભિનવ બિન્દ્રા અને નીરજ ચોપરા એવા ખેલાડીઓ છે જેમણે ભારત માટે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગોલ્ડ જીત્યો હતો. સુશીલ કુમાર ભારત માટે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર એકમાત્ર ખેલાડી છે.