- IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવાની સંભાવના
- કેટલાક ખેલાડીઓ માટે છેલ્લી સિઝન પણ હોઈ શકે છે
- ધોની IPL 2024માં છેલ્લી વખત રમતો જોવા મળી શકે
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 2024ન 22 માર્ચથી શરૂ થવાની સંભાવના છે. IPLની 17મી સિઝન કેટલાક ખેલાડીઓ માટે છેલ્લી સિઝન પણ હોઈ શકે છે. જે બાદ તે આ લીગને અલવિદા કહી શકે છે. આ વખતની IPL ઘણી રીતે ખાસ બનવાની છે. જ્યાં કેટલાક યુવા સ્ટાર્સ પોતાનું ટેલેન્ટ બતાવશે. કેટલાક અનુભવીઓ આ લીગને કાયમ માટે અલવિદા કહેશે. ચાલો તમને જણાવીએ કે એવા દિગ્ગજ ખેલાડીઓ કોણ છે જેમની IPL 2024ની સિઝન તેમની છેલ્લી હોઈ શકે છે.
દિનેશ કાર્તિકની આ છેલ્લી IPL હશે!
IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિકેટકીપર બેટ્સમેન તરીકે રમી રહેલા દિનેશ કાર્તિકની આ છેલ્લી સીઝન હોઈ શકે છે. 38 વર્ષના દિનેશ કાર્તિકની છેલ્લી સિઝન સાવ સામાન્ય રહી હતી. જો કે તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફરી એકવાર પોતાના અનુભવી વિકેટકીપર બેટ્સમેન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ જો તે આ વખતે પણ પોતાને સાબિત કરવામાં નિષ્ફળ જાય છે તો તે દિનેશ કાર્તિકની IPL કારકિર્દીની છેલ્લી સિઝન હોઈ શકે છે. દિનેશ કાર્તિક 2008થી આ લીગમાં રમી રહ્યો છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સ (હાલમાં દિલ્હી કેપિટલ્સ) માટે તેની શરૂઆત કરી. જે બાદ તે અત્યાર સુધી આ લીગમાં 242 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 4516 રન બનાવ્યા છે.
ઈશાંત શર્મા કરી શકે છે નિવૃત્તિની જાહેરાત!
ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પણ IPL 2024માં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. 35 વર્ષીય ઈશાંત શર્માએ 2008માં કોલકાતા નાઈટ રાઈઝર્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારપછી આ ફાસ્ટ બોલરે આઈપીએલમાં 101 મેચ રમી છે. ઈશાંતે 101 મેચમાં 82 વિકેટ લીધી છે. ઘણી ટીમો હવે આ દિગ્ગજ બોલર પર દાવ લગાવવાનું ટાળી રહી છે. પરંતુ દિલ્હીએ આ બોલર પર દાવ લગાવ્યો છે અને આ વખતે તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે.
શિખર ધવન પણ કરી શકે છે નિવૃત્તિની જાહેરાત!
આ યાદીમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનર શિખર ધવનનું નામ પણ સામેલ છે. ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ શિખર ધવન હવે IPLમાં માત્ર પંજાબ કિંગ્સ માટે જ રમતા જોવા મળે છે. 38 વર્ષીય શિખર ધવન IPLમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શક્ય છે કે તે છેલ્લી વખત આ લીગમાં રમતા જોવા મળે. શિખર ધવન માટે ભારતીય ટીમના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. શિખર ધવને IPLમાં અત્યાર સુધી 217 મેચ રમી છે. જેમાં તેણે 35.19ની એવરેજથી 6616 રન બનાવ્યા છે.
રોહિત શર્મા પણ કહી શકે છે અલવિદા!
ભારતીય ટીમના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જે બાદ એવા સમાચાર આવ્યા હતા કે આ વખતે રોહિત મુંબઈ છોડીને બીજી ટીમમાં રમી શકે છે. પરંતુ આ માત્ર અટકળોનો વિષય હતો. જો કે, હવે એવી આશા છે કે રોહિત શર્મા IPL 2024 પછી આ લીગને અલવિદા કહી શકે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત ટાઈટલ જીત્યું હતું. આ સાથે જ તે IPLમાં સૌથી વધુ મેચ જીતનાર બીજા કેપ્ટન પણ છે. 36 વર્ષીય રોહિત શર્મા IPLમાં 243 મેચ રમ્યો છે. જેમાં તેણે 6211 રન બનાવ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી સિઝન
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ IPL 2024માં છેલ્લી વખત રમતા જોવા મળી શકે છે. વાસ્તવમાં, IPL 2023માં એવા અહેવાલ હતા કે મહેન્દ્ર સિંહ ધોની આ લીગ છોડી શકે છે. પરંતુ IPLનો ખિતાબ જીત્યા બાદ તેણે કહ્યું હતું કે તે તેના ચાહકો માટે વધુ એક સિઝન રમવા માંગે છે. જોકે, હવે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે આ વખતે મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી વખત IPL 2024માં રમતા જોવા મળી શકે છે.