IPL 2025ની મેગા ઓક્શન પહેલા ઘણી ટીમોના કેપ્ટનોને લઈને એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ કેપ્ટન્સ નવી સિઝનમાં બદલાતા જોવા મળી શકે છે. એટલે કે આ ખેલાડીઓ તેમની જૂની ટીમો છોડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત વિશે એવી અટકળો ચાલી રહી છે કે પંત IPL 2025ની મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. હવે પંતને લઈને એક મોટી માહિતી સામે આવી છે, જેનાથી ભારે હલચલ મચી ગઈ છે.


રિષભ પંત કઇ વાતથી નારાજ ?

IPL 2024માં ઋષભ પંત લગભગ 15 મહિના પછી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. પંત ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. પંત માટે આ સિઝન ઘણી સારી રહી હતી. પંતે આ સિઝનમાં 55.40ના સ્ટ્રાઈક રેટથી 446 રન બનાવ્યા હતા. કાર અકસ્માતને કારણે દિલ્હી કેપિટલ્સ માટે એક સિઝનમાં પંત રમી શક્યા ન હતા. ત્યારે હવે Cricbuzz તરફથી એક રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ (રૂ. 18 કરોડમાં રીટેન્શન)ની ટોચની રીટેન્શન પિકથી સંતુષ્ટ નહોતો. પંત આ મહિનાની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીના સહ-માલિક પાર્થ જિંદાલને પણ મળ્યો હતો. રિટેન્શન તરીકે મળેલી રકમથી પંત ખુશ ન હતો. ફ્રેન્ચાઇઝીના માલિક પંતને દિલ્હી કેપિટલ્સ માટે સૌથી સારો કેપ્ટન માને છે પરંતુ કદાચ તેઓ તેના માટે વધુ પૈસા ખર્ચવા માંગતા નથી.


પંતની પોસ્ટ વાયરલ

મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડવાની અટકળો વચ્ચે થોડા દિવસો પહેલા ઋષભ પંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઇ હતી. પંતે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જો હું ઓક્શનમાં જાઉ છું તો કેટલામાં મારી બોલી લાગશે અને બોલી લાગશે કે કેમ ? આવા સવાલ સાથે તેણે એક પોસ્ટ શેર કરી હતી જે પછી ફેન્સના મનમાં ઘણા સવાલો ઉઠ્યા હતા.


  • Follow us on: