- ગૌતમ ગંભીરના નિર્ણયોએ આશ્ચર્યચકિત કરી દીધા
- સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનો T20નો નવો કેપ્ટન
- આ નિર્ણયની અસર આગામી IPLમાં પણ જોવા મળશે
ભારતીય ચાહકોમાં કેપ્ટનશિપ અને ખેલાડીની પસંદગીને લગતા મુદ્દાઓ પર ફરીથી ચર્ચા થવા લાગી છે. નવા કોચ ગૌતમ ગંભીરના આગમન સાથે શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાતમાં લેવાયેલા નિર્ણયોએ આશ્ચર્યચકિત કરી દીધા છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું.
સૌથી મહત્વની વાત એ છે કે તેની અસર માત્ર ટીમ ઈન્ડિયા પર જ નહીં પરંતુ આગામી વર્ષની IPL સિઝન પર પણ જોવા મળશે, જ્યાં કેપ્ટનશિપમાં ફેરફાર જોવા મળી શકે છે. જેમાં સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને રિષભ પંતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
કેપ્ટનશિપને લઈને વિવાદ
સુકાનીપદને લઈને તમામ વિવાદનું કારણ છેલ્લી સિઝન છે, જ્યારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અચાનક પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી ફ્રેન્ચાઇઝી માલિકોએ ટીમના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારથી રોહિત અને હાર્દિક વચ્ચેના સંબંધો બગડ્યા હતા, જ્યારે સૂર્યકુમાર યાદવ જેવો સ્ટાર ખેલાડી પણ નારાજ હોવાનું કહેવાય છે. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને તેના માલિક સંજીવ ગોએન્કાના વિવાદાસ્પદ વીડિયોએ પણ પરિવર્તનની શક્યતાઓ પર ભાર મૂક્યો છે.
ટીમો રોહિત-સૂર્યા પર નજર રાખશે
આ બધાની વચ્ચે રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી અને T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો, જ્યારે સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જેના કારણે આગામી સિઝન પહેલા મોટા ફેરફારોની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેનું કારણ આ વખતે યોજાનારી મેગા ઓકશન છે. એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘણી ફ્રેન્ચાઇઝીઓ તેમના કેપ્ટન બદલવા માંગે છે. મુંબઈની કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ શું રોહિત ટીમમાં રહેવાનું પસંદ કરશે? કે પછી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળ્યા બાદ સૂર્યા મુંબઈમાં હાર્દિકની કેપ્ટનશીપમાં રમવા માંગશે?
શું પંત CSKમાં જશે?
બીજી તરફ, જો રિષભ પંત દિલ્હી છોડી દે છે, તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેને સ્વીકારવા તૈયાર થઈ શકે છે કારણ કે તેઓ એમએસ ધોનીના સ્થાને એક મહાન વિકેટકીપરની શોધમાં છે. તે જ સમયે, રાહુલ અને લખનૌનું અલગ થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં રાહુલ તેના ઘરે એટલે કે RCBમાં પરત આવી શકે છે, જે પોતે ભારતીય કેપ્ટનની શોધમાં હોવાનું કહેવાય છે.