- ઈશાન કિશન ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર
- BCCIએ ઈશાનને કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દીધો
- હાલમાં ઈશાન કિશનની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ
ઘણા સમયથી એક સ્ટાર ખેલાડી ટીમ ઈન્ડિયાની બહાર છે. હવે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો રસ્તો શોધી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ઈશાને માનસિક તણાવને કારણે આ સિરીઝમાંથી આરામની માંગ કરી હતી.
ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર
આ પછી BCCIએ ઈશાન કિશનને ટીમમાં વાપસી કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી, જેને ઈશાને નજરઅંદાજ કરી હતી. આટલું જ નહીં, બાદમાં BCCIએ ઈશાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દીધો હતો. હવે ઈશાન કિશનને શ્રીલંકા પ્રવાસમાં પણ ટીમમાં તક મળી નથી. જે બાદ ઈશાન પાસે ટીમમાં વાપસી કરવાનો એક જ રસ્તો બચ્યો છે.
આ રીતે થઈ શકે છે ઈશાનનું કમબેક
ઇશાન કિશન છેલ્લે IPL 2024માં રમતા જોવા મળ્યો હતો. તેની ટીમમાં વાપસીની હાલ કોઈ શક્યતા નથી. જો કે ટીમમાં વાપસી કરવા માટે ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિઝન રમવી પડશે. આટલું જ નહીં, ઈશાને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની જાતને સાબિત કરવી પડશે, ત્યારબાદ જ ઈશાનની ટીમ ઈન્ડિયામાં વાપસીની શક્યતાઓ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિલેક્ટર ઈશાનને લઈને અત્યારે કોઈ વિચાર કરી રહ્યા નથી. આવી સ્થિતિમાં ઈશાન માટે માત્ર IPL રમવું પૂરતું નથી.
ઈશાન માટે ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ
હાલમાં ટીમ ઈન્ડિયા પાસે રિષભ પંત, સંજુ સેમસન અને કેએલ રાહુલ જેવા શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન છે. જ્યારે કેએલ રાહુલ શ્રીલંકા પ્રવાસથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે, જ્યારે રિષભ પંત અને સંજુ સેમસન શાનદાર ફોર્મમાં છે, ત્યારે ઈશાન માટે આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી આસાન નહીં હોય.