- શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઇ
- ODI અને T20 સિરીઝ માટે ટીમો એકદમ અલગ
- શશી થરૂરે ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ
ભારતીય ટીમ ટૂંક સમયમાં શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે, જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા દિવસોની રાહ જોયા બાદ આખરે BCCIએ ટીમની જાહેરાત કરી છે. ODI અને T20 સિરીઝ માટે ટીમો એકદમ અલગ છે. ભારતીય ટીમની જાહેરાત બાદ અવારનવાર ટ્રોલ થતા રહેતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટીમ સિલેક્શનને લઇને નારાજગી વ્યક્ત કરી છે. થરૂરે સંજુ સેમસનને વનડે સિરીઝમાં સ્થાન ન આપવા અને અભિષેક શર્માને કોઈપણ ટીમમાં સ્થાન ન આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. થરૂરે બીસીસીઆઈ દ્વારા કરાયેલી સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે.
થરૂરે ટીમ ઇન્ડિયાના સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ
ભારતીય ટીમની જાહેરાત બાદ શશિ થરૂરે 'X' પર એક પોસ્ટ કરી અને લખ્યું- આ મહિને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ ખૂબ જ રસપ્રદ છે. પરંતુ પોતાની છેલ્લી ODI મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસનને ODI સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી. બીજી તરફ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં સદી ફટકારનાર અભિષેક શર્માને કોઈ ટીમમાં સ્થાન મળ્યું નથી. કદાચ ભારતીય ટીમની સફળતાથી પસંદગીકારોને કોઈ ફરક પડતો નથી. તેમ છતાં મારી શુભેચ્છાઓ ટીમ સાથે છે.
બીજો ચોંકાવનારો નિર્ણય
સંજુ સેમસનનો વનડે સિરીઝમાં સમાવેશ ન થવો અને અભિષેક શર્માનો કોઈ ટીમમાં સમાવેશ ન કરવો તે પહેલાથી જ ચોંકાવનારી વાત છે. બીજી તરફ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકારોએ મળીને ટી-20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપી દીધી છે. વર્લ્ડકપ 2022 પછી હાર્દિક પંડ્યા એક લિડર તરીકે ઉભરી આવ્યો હોવાથી ભારતીય ક્રિકેટ ચાહકો તેના કેપ્ટન ન બનવાથી ચોંકી ગયા છે.
ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (c), શુભમન ગિલ (vc), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (wk), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
ODI ટીમઃ રોહિત શર્મા (c), શુભમન ગિલ (vc), વિરાટ કોહલી, કેએલ રાહુલ (wk), રિષભ પંત (wk), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.