- T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં કોહલીએ જોરદાર ઈનિંગ રમી
- નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના વખાણ કર્યા
- દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ભારતે T20 વર્લ્ડકપ જીત્યો
પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના વખાણ કર્યા છે. દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં કોહલીએ જોરદાર ઈનિંગ રમી હતી. કોહલીએ 59 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા, જેના કારણે ભારત 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ ભારતે લક્ષ્યનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડકપ જીત્યો.
જરૂર પડ્યે 'કોહલી ઊભો રહ્યો'
સિદ્ધુએ કહ્યું, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી, જ્યારે કરોડો ભારતીયો જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને આશા રાખી રહ્યા હતા કે ફાઇનલમાં અમે ચોક ના કરીએ, તે સમયે કોહલી ઊભો હતો. તે બીજા છેડે રહ્યો અને જ્યારે ભારતની સ્થિતિ સારી ન હતી ત્યારે તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ટૂર્નામેન્ટમાં તેણે 38 અને 24 રન બનાવ્યા ત્યારે પણ તેણે રન રેટમાં ઘટાડો થવા દીધો નહોતો. મારા માટે કોહલી હંમેશા દિગ્ગજ તરીકે યાદ રહેશે. એક એવો ખેલાડી જે લોકો માટે પ્રેરણારૂપ છે.
કોહલીએ બનાવ્યા આટલા રન
કોહલીએ T20 વર્લ્ડકપ 2024માં 8 ઇનિંગ્સમાં 112.68ના સ્ટ્રાઇક રેટથી 151 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી. આ ટુર્નામેન્ટમાં તેનો એકંદર રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. કોહલીએ T20 વર્લ્ડકપમાં 1292 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 128.81 રહ્યો છે. કોહલીએ આ ટૂર્નામેન્ટમાં 15 અડધી સદી ફટકારી છે અને તે T20 વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
કોહલીએ નિવૃતિ લીધી
કોહલીએ T20 વર્લ્ડકપ ફાઈનલ બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. T20 ઈન્ટરનેશનલમાં કોહલીએ 125 મેચોમાં 48.69ની એવરેજ અને 137.04ના સ્ટ્રાઈક રેટથી 4188 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 38 અડધી સદી સામેલ છે. T20 ઈન્ટરનેશનલમાં કોહલીનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર અણનમ 122 રન છે.