ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે સીરિઝની અંતિમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. મેચની અંતિમ મિનિટો પહેલા એક મોટી અપડેટ સામે આવી છે. બે સ્ટાર ખેલાડીઓ અચાનક સીરિઝની અંતિમ મેચમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ ઈજાને કારણે આ મહત્વપૂર્ણ મેચમાં ભાગ લઈ શકશે નહીં. તેમના સ્થાને ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે, ટીમને બાકીના ખેલાડીઓમાંથી પ્લેઇંગ ઇલેવન પસંદ કરવું પડશે, જે એક મહત્વપૂર્ણ તણાવ છે.
આ બે ખેલાડીઓ અંતિમ મેચમાંથી બહાર
ભારત સામે ચાલી રહેલી ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગર અને બેટ્સમેન ટોની ડી જોર્ઝી બંને હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે. બુધવારે બીજી વનડેમાં બોલિંગ કરતી વખતે બર્ગરને જમણા હેમસ્ટ્રિંગમાં દુખાવો થયો હતો, જ્યારે ટોની ડી જોર્ઝી રન ચેઝ દરમિયાન બેટિંગ કરતી વખતે ઘાયલ થયો હતો અને તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. શુક્રવારે બંનેનું સ્કેન કરવામાં આવ્યું હતું, જેનાથી તેમની ઇજાઓની ગંભીરતા બહાર આવી હતી.













