ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન આગામી એશિયા કપ 2025 પહેલા જ એક ચિંતાજનક કારણોસર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં તેની પત્ની ચારુલતા રમેશ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં સંજુને હોસ્પિટલમાં જોવા મળ્યો હતો, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં તેના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેને એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે 9 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થવાનો છે. જોકે, આ પોસ્ટમાં તેના હોસ્પિટલમાં દાખલ થવાનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નહોતું, જેના કારણે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.


હોસ્પિટલથી સીધા ક્રિકેટ મેદાન પર

પત્ની ચારુલતાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું હતું કે 21 ઓગસ્ટે બપોરે 3 વાગ્યે સંજુ હોસ્પિટલમાં હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે તે જ દિવસે રાત્રે તે કેરળ ક્રિકેટ લીગ (KCL) 2025 ની મેચ રમવા માટે મેદાન પર પણ ઉતર્યો હતો. કોચ્ચિ બ્લુ ટાઇગર્સ અને અદાણી ત્રિવેન્દ્રમ રોયલ્સ વચ્ચેની આ મેચમાં સંજુએ બેટિંગ તો ન કરી, પરંતુ તેણે આખી ઇનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરી અને એક રનઆઉટમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં કોચ્ચિ બ્લુ ટાઇગર્સનો આસાન વિજય થયો હતો, જેમાં સંજુના મોટા ભાઈ સૈલી વિસ્વનાથએ 50 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. સંજુનું હોસ્પિટલમાંથી સીધા મેદાન પર ઉતરવું તેની ફિટનેસ અને સમર્પણ દર્શાવે છે.

એશિયા કપમાં સંજુનું સ્થાન

તાજેતરમાં T20I ફોર્મેટમાં સંજુનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. તેણે 2024 માં બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામે ત્રણ સદી ફટકારી હતી. તેની આ ઉત્કૃષ્ટ ફોર્મને કારણે તેને એશિયા કપમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા હતી. જોકે, ટીમમાં વાઈસ-કેપ્ટન તરીકે શુભમન ગિલની વાપસીથી તેની પ્લેઈંગ-11 માં જગ્યાને લઈને સવાલો ઊભા થયા છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે, ઓપનિંગ બેટ્સમેન તરીકે ગિલ અને અભિષેક શર્માની જોડીને પ્રાધાન્ય મળી શકે છે, જેના કારણે સંજુને મિડલ ઓર્ડરમાં રમવું પડી શકે છે. આમ છતાં, સંજુની ફોર્મ અને વિકેટકીપિંગ ક્ષમતા તેને ટીમ માટે એક મૂલ્યવાન ખેલાડી બનાવે છે.


  • Follow us on: