- ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે
- ભારત પોતાના પ્રવાસની શરૂઆત T20 સિરીઝથી કરશે
- ગૌતમ ગંભીર અને અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરી
ટીમ ઈન્ડિયા નવા કોચિંગ સ્ટાફ સાથે શ્રીલંકા જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમ પોતાના પ્રવાસની શરૂઆત T20 સિરીઝથી કરશે, જેની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે. શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોચ અને સિલેક્ટરે ઘણા મોટા સવાલોના જવાબ આપ્યા. જેમાં એક મોટો પ્રશ્ન હતો કે ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર રૂતુરાજ ગાયકવાડને શ્રીલંકા પ્રવાસની ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો નથી?
ગાયકવાડને કેમ ન મળ્યું સ્થાન?
જ્યારથી શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પસંદગી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં એક પ્રશ્ન એ હતો કે શાનદાર પ્રદર્શન કરવા છતાં ગાયકવાડની ODI કે T20 સિરીઝમાં પસંદગી કરવામાં આવી ન હતી. જે અંગે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજીત અગરકરે કહ્યું હતું કે ઝિમ્બાબ્વે સામે અમે ઘણા ખેલાડીઓને તક આપવા માંગતા હતા, જે ખૂબ સારું હતું. આવી સ્થિતિમાં, જો ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અથવા આગામી મેચોમાં ફોર્મમાં નથી, તો અમારી પાસે સારો બેકઅપ હશે.
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના
પ્રેસ કોન્ફરન્સ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ છે. 3 મેચની T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. શ્રીલંકા જતા પહેલા ટીમ ઈન્ડિયાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
શ્રીલંકા સામે T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિષભ પંત, રિંકુ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદર.