• નિકોલસ પૂરનના નેતૃત્વમાં 15 ખેલાડીઓની પસંદગી કરી 
  • આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણની ટીમમાંથી બાદબાકી
  • ક્રિસ ગેલ, ડ્વેન બ્રાવો, કિરોન પોલાર્ડ વિના ટીમ વર્લ્ડકપ રમશે

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે બુધવારે એટલે કે 14 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડકપ માટે તેની ટીમની જાહેરાત કરી છે. નિકોલસ પૂરનના નેતૃત્વમાં બોર્ડે કુલ 15 ખેલાડીઓની પસંદગી કરી હતી, જેમાં આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ જેવા નામો સામેલ નહોતા. આ વખતે વેસ્ટ ઈન્ડિઝે અનુભવી ખેલાડીઓને બદલે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઘણીવાર એવું જોવા મળે છે કે વેસ્ટ ઈન્ડિઝના મજબૂત ખેલાડીઓ આખા વર્ષ દરમિયાન અલગ-અલગ લીગમાં રમે છે અને જ્યારે પણ ICC ઈવેન્ટ આવે છે ત્યારે તેમને ટીમમાં સામેલ કરવામાં આવે છે, પરંતુ આ વખતે બોર્ડે એવું કર્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ આ વર્ષે તેના પાંચ મુખ્ય T20 ખેલાડીઓ વિના પ્રથમ વખત T20 વર્લ્ડકપ રમશે, જેમાંથી બે ખેલાડીઓ 2007 T20 વર્લ્ડકપથી ટીમનો ભાગ હતા.

ક્રિસ ગેલ-ડ્વેન બ્રાવો સાત T20 વર્લ્ડકપ રમ્યા

ગેલ અને બ્રાવો એવા બે ખેલાડીઓ છે જેઓ 2007 T20 વર્લ્ડકપથી 2021 સુધી વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ રહ્યા છે. આ બંને ખેલાડીઓ અત્યાર સુધીમાં તમામ T20 વર્લ્ડકપ રમી ચૂક્યા છે. આ વર્ષે આ પ્રથમ વખત બનશે જ્યારે આ બંને ખેલાડીઓ ટીમનો ભાગ નહીં હોય. બંને દિગ્ગજોએ તેમની છેલ્લી T20 મેચ 2021 વર્લ્ડકપ દરમિયાન રમી હતી.

કિરોન પોલાર્ડની ક્રિકેટમાંથી નિવૃત્તિ

આ યાદીમાં એક નામ પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડનું પણ છે. આ ઓલરાઉન્ડર છેલ્લા T20 વર્લ્ડકપમાં પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ હતો. 34 વર્ષીય પોલાર્ડે આ વર્ષે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 101 T20 મેચ રમી છે જેમાં તેણે 1,569 રન બનાવવાની સાથે 42 વિકેટ પણ લીધી છે.


આન્દ્રે રસેલ-સુનીલ નારાયણ ટીમમાંથી બહાર

રસેલ અને નારાયણ એવા બે ખેલાડી છે જેમના નામ T20 વર્લ્ડકપની ટીમમાં જોવા મળતા નથી. બોર્ડે આ ખેલાડીઓને તેના 15 ખેલાડીઓમાં સ્થાન આપ્યું નથી, જેમણે વિશ્વભરની T20 લીગમાં ડંકો વગાડ્યો છે. હાલ બંને CPLમાં રમી રહ્યા છે. રસેલ 2012, 2014, 2016 અને 2021 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે રમી ચૂક્યો છે. જ્યારે સુનીલ નારાયણ 2012 અને 2014 વર્લ્ડકપ ટીમનો ભાગ રહ્યો છે.

  • Follow us on: