દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં આવેલા મીરાખેડી ગામે પહેલા જ વરસાદમાં વિકાસની કામગીરી વિનાશ નોતરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દેશના મહત્વાકાંક્ષી 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર'ના નિર્માણમાં રાખવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે આજે આખું મીરાખેડી ગામ અને તેના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.


હાઇવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ આડેધડ કામગીરી કરવામાં આવી હોવાથી વહેલી સવારના વરસાદમાં જ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે.

 કુદરતી પાણીના વહેણ અને નાળાઓને પૂરી દેવામાં આવ્યા

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષો જૂના કુદરતી પાણીના વહેણ અને નાળાઓને પૂરી દેવામાં આવ્યા હતા. હાઇવેની નીચે પાણી પસાર થવા માટે કોઈ વૈકલ્પિક પાઇપલાઇન કે કલવર્ટ બનાવવામાં આવ્યા નથી. પરિણામે, ચોમાસાના આ પ્રારંભિક ભારે વરસાદનું તમામ પાણી આગળ જવાને બદલે પાછું મારીને આજુબાજુના સેંકડો એકર ખેતરોમાં ઘૂસી ગયું છે અને ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે. 

 


ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ

આ અંધેર વહીવટના કારણે ખેડૂતોનો મહેનતથી ઉગાડેલો તૈયાર ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી જગતનો તાત મોટા આર્થિક નુકસાનની ચિંતામાં ડૂબ્યો છે. આ બાબતે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અગાઉ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રને અનેક લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોન્ટ્રાક્ટર કે તંત્રના પેટનું પાણી હલ્યું નહોતું. તંત્રની આ જ ઉદાસીનતાના કારણે આજે આખી રાતના વરસાદ બાદ ખેતરો બેટ બની ગયા છે. ખેડૂતો હવે નુકસાનીના વળતર અને પાણીના નિકાલ માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. 


આ પણ વાંચો----     Panchmahal : પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વચ્ચે મોટી ભેખડ ધસી, બેથી વધુ વ્યક્તિ દબાયા



 

  • Follow us on: