વડોદરા જિલ્લાના ડેસર પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓની કથળેલી સ્થિતિ સામે આવી છે. ડેસર તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે કરડ નદી પર આવેલો અને ધનતેજ તથા સધાપુરા ગામને જોડતો મહત્વનો કોઝવે પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો છે.


માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ

ડાઈવર્ઝન પાસેનો આ મુખ્ય કોઝવે તૂટી જતાં માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે કરડ નદી પરનો આ આખો માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ

આ મુખ્ય સંપર્ક માર્ગ તૂટી પડવાના કારણે બંને ગામના સ્થાનિક લોકોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. કોઝવે ધોવાઈ જતાં સ્કૂલે-કોલેજે જતા વિદ્યાર્થીઓ, ખેતરે જતા ખેડૂતો અને રોજગાર માટે સવારે નીકળતા નોકરીયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ગ્રામીણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતાં લોકોએ લાંબો ફેરો ખાવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

માર્ગોની ગુણવત્તા અને પ્રી-મોન્સૂન કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ

ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારે કોઝવે અને ડાઇવર્ઝન તૂટી જતાં ગ્રામીણ માર્ગોની ગુણવત્તા અને પ્રી-મોન્સૂન કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. હાલ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી નવો રસ્તો બનાવવો મુશ્કેલ છે, જેથી ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોએ એકઠા થઈને વહીવટી તંત્ર પાસે અવરજવર માટે તાત્કાલિક ધોરણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા કામચલાઉ રસ્તો તૈયાર કરી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.


આ પણ વાંચો---    Panchmahal : પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વચ્ચે મોટી ભેખડ ધસી, બેથી વધુ વ્યક્તિ દબાયા

  • Follow us on: